નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ મન કી બાતના માધ્યમથી 52મી વખત દેશની જનતાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 21મી સદીમાં જન્મેલા યુવા દેશમાં નિર્ણય પ્રક્રિયાના હિસ્સેદાર બનવા જઇ રહ્યા છે કારણ કે તેમને આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો અવસર મળશે. તેમણે કહ્યું કે, આ યુવાઓએ પોતાના સપનાને દેશના સપના સાથે દોડવા માટે મતદાન અવશ્ય કરવું જોઇએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ વર્ષ અમારા દેશમાં લોકસભાની ચૂંટણી થશે. આ પ્રથમવાર હશે જ્યારે 21મી સદીમાં જન્મેલા યુવાઓ લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમના માટે દેશની જવાબદારી પોતાના ખભા પર લેવાનો અવસર આવી ગયો છે. મોદીએ કહ્યું કે, હવે તેઓ દેશમાં નિર્ણય પ્રક્રિયાની ભાગીદારી બનવા જઇ રહ્યા છો. પોતાના સપનાને દેશના સપના સાથે જોડવાનો સમય આવી ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું યુવા પેઢીને આગ્રહ કરું છું કે, જો તેઓ મતદાન કરવા પાત્ર છે તો મતદાતાના રૂપમાં પોતાનું રજીસ્ટ્રેશન અવશ્ય કરો. તેમણે વધુમાં કહ્યું કે આઝાદ થયા ત્યારથી લઇને 2014 સુધીમાં જેટલા અંતરિક્ષ અભિયાનો થયા છે લગભગ એટલા જ અંતરિક્ષ અભિયાનોની શરૂઆત છેલ્લા ચાર વર્ષમાં થઇ છે. બાળકો માટે આકાશ અને તારા હંમેશા આકર્ષક હોય છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું કે, ભારતની આ મહાન ધરતીના અનેક મહાપુરુષોનો જન્મ થયો છે અને આ મહાપુરુષોએ માનવતા માટે અદભૂત, અવિસ્મરણીય કાર્ય કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ લાગુ થયું હતું અને તે દિવસે દેશ પ્રજાસત્તાક બન્યો અને આપણે ગઇકાલે ગણતંત્ર દિવસ બનાવ્યો છે.