નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમિશને મરાઠાઓને 16 ટકા અનામત આપવાની ભલામણ કરી છે. સૂત્રોના મતે આયોગે આ સંબંધમાં એક બંધ કવરમાં પોતાનો રિપોર્ટ સરકારે સોંપ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 30 ટકા વસ્તી ધરાવતો મરાઠા સમુદાયને સરકારી નોકરીમાં અનામતની જરૂર છે. સૂત્રોના મતે મરાઠાઓને અનામત આપવા માટે ઓબીસીમાં કોઇ પરિવર્તન કરવામાં આવશે નહીં. જો આ અનામત પર સરકારની મંજૂરી મળી જાય છે તો તમામ શ્રેણીમાં અનામત મળીને રાજ્યમાં કુલ 68 ટકા અનામત થઇ જશે જ્યારે હાલમાં રાજ્યમાં અલગ અલગ વર્ગમાં કુલ 52 ટકા અનામત છે.


મહારાષ્ટ્ર સરકારે જૂન 2017માં બેકવર્ડ ક્લાસ આયોગને મરાઠા અનામત મુદ્દા પર સર્વેક્ષણ  કરવાનો આદેશ આપ્યો હતો. છેલ્લા 15 મહિનામાં આયોગે મહારાષ્ટ્રના અનેક હિસ્સાનો પ્રવાસ કર્યો. આ દરમિયાન આયોગે બે લાખ મરાઠા સમુદાયના લોકોની ફરિયાદો સાંભળી હતી. આ દરમિયાન 25 હજાર પરિવારોનું સર્વેક્ષણ કર્યું.નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી મહારાષ્ટ્રમાં અનામતની માંગ સાથે મરાઠા આંદોલન ચાલી રહ્યું છે.આયોગના સૂત્રોના મતે 25 વિવિધ માપદંડો પર મરાઠાઓની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક આધાર પર પછાત હોવાની તપાસ કરી હતી. નોંધનીય છે કે મરાઠા આંદોલનમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે.