નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને નવા કેસોમાં તબલીગી જમાતના જલસામાં ભાગ લેનારા અનુયાયીઓની સંખ્યા મોટી છે. આ જલસો યોજનારા જમાતના વડા મૌલાના સાદ પોતાના અનુયાયીઓને પોતાના હાલ પર છોડીને ફરાર થઈ ગયા છે. હજારો લોકોના જીવ જોખમમાં મૂકનારા મૌલાના પોતાના અનુયાયીઓની શું થશે તેની ચિંતા કર્યા વિના પોતાનો જીવ બચાવા છૂપાઈને બેસી ગયા છે.


દિલ્હી ક્રાઈમ બ્રાંચે મૌલાના સાદ સામે પોલીસ ફરિયાદ નોંધી છે પણ મૌલાના ક્યાં છે તે કોઈને ખબર નથી. મૌલાનાઓ પોતે સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં હોવાની જાહેરાત ઓડિયો ટેપ દ્વારા કરી હતી. હવે મૌલાનાએ પોતાના પુત્ર અને જમાત કમિટીના સભ્ય મોહમ્મદ યુસુફ મોહમ્મદ સાદ મારફત નિવેદન બહાર પાડ્યું છે.

આ નિવેદનમાં જમાતના અનુયાયીઓને કોરોનાનો ચેપ લાગ્યો તેને મૌલાનાએ યોગાનુયોગ ગણાવ્યો છે. આ પહેલાં મોલાના સાદ કોરોના કશું ના કરી શકે એવો દાવો કરતા હતા. મસ્જિદમાં મોત મળે તો સારું એવું કહેતા હતા. હવે તેમણે અચાનક રંગ બદલતાં સૌ આશ્ચર્યમાં પડી ગયા છે.

મૌલાના સાદે દાવો કર્યો છે કે, અમને કોરોનાવાયરસના ચેપની ખબર પડી કે તરત જ અમે મરકઝમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મૌલાનાનો દાવો છે કે, અમારી પાસે તમામ પુરાવા છે ને લોકડાઉન પછી મરકઝ ખૂલ ત્યારે એ પુરાવા આપીશ.