નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદીલીને લઇને પ્રેસ કૉન્ફરન્સ કરી. રવીશ કુમારે કહ્યું કે, ભારતની એર સ્ટ્રાઇકની જવાબમાં પાકિસ્તાને એક્શન લીધી. ભારતે પાકિસ્તાનની એક્શનનો જડબાતોડ જવાબ આપ્યો અને તેમના લડાકૂ વિમાનને તોડી પાડ્યુ. જોકે, આ કાર્યવાહીમાં ભારતનું એક મિગ વિમાન પણ ધ્વસ્ત થઇ ગયુ અને અમારો એક પાયલટ લાપતા છે.




પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય પાયલટ તેમની કસ્ટડીમાં છે, અમે હાલ તેની તપાસ કરી રહ્યાં છીએ. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રિફીંગમાં રવીશ કુમારની સાથે એર વાઇસ માર્શલ આર.જી.કે કપૂર પણ હાજર રહ્યાં હતાં.



નોંધનીય છે કે, પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની શહીદીનો બદલો લેવા માટે મંગળવારે સવારે 3.30 વાગે ભારતીય વાયુસેનાએ લડાકૂ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદનો સૌથી મોટા આતંકી કેમ્પ પર હવાઇ હુમલો કર્યો. આમાં 350થી વધુ આતંકીઓ માર્યા જવાના સમાચાર હતા.

આ કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાયુ અને બુધવારે ભારતીય હવાઇ વિસ્તારનુ ઉલ્લંઘન કર્યુ હતું. ભારતીય વાયુસેના દ્વારા એક પાકિસ્તાની વાયુસેનાનું લડાકૂ વિમાનને તોડી પડાયુ હતું.