શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરને લઇને કેન્દ્રની મોદી સરકારે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આજે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્તાવ રજૂ કરતાં કલમ 370 ને હટાવવા અને J-Kના પુનર્ગઠનનો સંકલ્પ રજૂ કર્યો, જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે, આને લઇને રાજ્યસભામાં હંગામો શરૂ થયો હતો. હવે આ બધાની વચ્ચે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સરકારને આડેહાથે લીધી છે.


પીપુલ્સ ડેમૉક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ વાંધો ઉઠાવતા ટ્વીટ કર્યુ, લખ્યું કે, ''આ નિર્ણયથી ઉપમહાદ્વીપમાં ભય પરિણમશે, ભારત સરકારના ઇરાદા સ્પષ્ટ છે, તે જમ્મુ-કાશ્મીરમાં ત્યાંના લોકોને આતંકીત કરીને ક્ષેત્ર પર અધિકાર મેળવવા માંગે છે. કાશ્મીરમાં ભારત પોતાના વાયદા નિભાવવામાં નિષ્ફળ રહી.''






ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના આ નિર્ણયનો અર્થ છે કે અનુચ્છેદ 370ના અંતર્ગત જમ્મુ-કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા હતા, તે હવે ખતમ થઇ ગયા છે. હવે જમ્મુ-કાશ્મીર ભારતના અન્ય રાજ્યોની જેમ સામાન્ય રાજ્ય હશે. અમિત શાહની આ જાહેરાત બાદ રાજ્યમાં અનુચ્છેદ 370 પુરેપુરી રીતે લાગુ નહીં થાય.


ઉપરાંત જમ્મુ-કાશ્મીરને લદ્દાખથી અલગ કરી દેવામાં આવ્યુ છે. લદ્દાખને વિધાનસભા વિનાનું કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. અમિત શાહે જેવું આ બિલ રજૂ કર્યુ તેવો રાજ્યસભામાં હંગામો શરૂ થઇ ગયો હતો, રાજ્યસભાને થોડીકવાર સુધી સ્થગિત પણ કરી દેવી પડી હતી.