નવી દિલ્હીઃ જાતીય શોષણના આરોપમાં ઘેરાયેલા વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર ભારત પરત ફર્યા છે. #MeToo કેમ્પેઇનમાં ફસાયેલા અકબર રાજીનામું આપશે કે નહી તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. વિદેશ યાત્રા પરથી અકબર જ્યારે ભારત પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર જ્યારે પત્રકારોએ આ મામલે જવાબ માંગ્યો તો તેમણે મૌન  સેવ્યુ હતું. તેમણે ફક્ત એટલુ જ કહ્યુ કે-તેઓ બાદમાં આ મામલે નિવેદન આપશે.


અકબર વિરુદ્ધ 10થી વધુ મહિલા પત્રકારોએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ ઘટના તે સમયની છે જ્યારે અકબર મીડિયા સંસ્થાઓમાં કામ કરતા હતા. કોગ્રેસ સહિત અન્ય વિપક્ષ પાર્ટીઓએ એમજે અકબકના રાજીનામા અને આ મામલે તપાસ કરવાની માંગણી કરી હતી. બીજેપીના અનેક નેતાએ ઇશારા ઇશારામાં અકબરનો બચાવ કરતા રહ્યા છે કે તેમને પર જે આરોપ લાગ્યા છે તે જૂના છે અને સરકારમાં સામેલ થયા બાદના નથી. પૂર્વ પત્રકાર અકબર 2014 લોકસભા ચૂંટણી અગાઉ બીજેપીમાં સામેલ થયા હતા.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે તેમના વિરુદ્ધ ગંભીર આરોપ છે અને મંત્રીના પદ પર તેઓ લાંબો સમય ટકી શકે તેમ લાગતુ નથી. અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદીએ લેવાનો છે. કેટલાક મહિલા મંત્રીઓએ પણ મીટુ અભિયાનને પોતાનું સમર્થન આપ્યું છે. પાર્ટી નેતાઓનું કહેવું છે કે સૌ પ્રથમ અકબરે પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપવો પડશે.