લોકડાઉન 2.0ની ગાઇડલાઇન્સ પડી બહાર, જાણો કોને મળી છૂટ અને શું રહેશે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Apr 2020 10:17 AM (IST)
સરકારની ગાઈડલાઈન્સમાં લગ્ન સમારંભ સહિત જીમ અને ધાર્મિક સ્થાનો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વચ્ચે કોને છૂટ મળશે તે અંગેના માર્ગદર્શિકા ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ તમામ પ્રકારના પરિવહન પર રોક રહેશે. રાજ્યોની બોર્ડર પણ બંધ રહેશે, એટલે કે બસ, મેટ્રો, હવાઈ અને ટ્રેન સફર નહીં કરી શકાય. આ ઉપરાંત સ્કૂલ, કોચિંગ સેન્ટર પણ બંધ રહેશે. ખેતી સાથે સંકળાયેલા કામોમાં છૂટ આપવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન્સમાં લગ્ન સમારંભ સહિત જીમ અને ધાર્મિક સ્થાનો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકીય અને રમત ગમત સ્પર્ધાના આયોજન પર પણ રોક લગાવવામાં આવી છે. દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ઘરમાં બનેલું માસ્ક, દુપટ્ટો કે ગમછાનો ઉપયોગ પણ કરી શકાશે. ખેતી સાથે સંકળાયેલા તમામ કામ ચાલુ રહેશે. ખેડૂતો અને ખેત મજૂરોને કાપણી સાથે જોડાયેલા કામ કરવાની છૂટ આપવામાં આવી છે. કૃષિ ઉપકરણોની દુકાનો, સ્પેરપાર્ટ્સની દુકાનો અને રિપેરિંગની દુકાનો ખુલ્લી રહેશ. આ ઉપરાંત ખાતર, બિયારણ, જંતુનાશકોના નિર્માણ અને વિતરણની ગતિવિધિઓ ચાલુ રહેશે. તેમની દુકાનો પણ ખુલ્લી રહેશે. કાપણીના મશીનની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુવમેન્ટ પર છૂટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે તેમના ભાષણમાં કહ્યું હતું કે, 20 એપ્રિલ સુધી વધારે કડકાઈ દાખવવામાં આવશે. તે પછી ધીમે ધીમે છૂટ આપવામાં આવશે.