નવી દિલ્હી : મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા જ્યારે નવા ચેહરાને સ્થાન અપાયું છે. કુલ ૪૩ મંત્રીઓએ શપથ લીધા હતા તેમાં ૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. જે નવા મંત્રીઓને સામેલ કરાયા છે તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, વીરેંદ્ર કુમાર, પશુપતિ કુમાર પારસ મુખ્ય ચેહરાઓ છે.


આ દરમિયાન કેબિનેટમાં સ્થાન પામેલા મંત્રીઓને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. આ મંત્રીઓ આજે જ તેમન ચાર્જ સંભાળી લેશે તેમ માહિતી મળી રહી છે. અનુરાગ ઠાકુર, અશ્વિની વૈષ્ણવ, મીનાક્ષી લેખીએ ચાર્જ સંભાળી લીધો છે.






રિજ્જુજી, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ  રુપાલા, અનુરાગ ઠાકુરને રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક મોટો ફેરફાર મંત્રીઓની ઉંમરને લઇને કરવામાં આવ્યો છે. જે પણ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા તેમની સરેરાશ વય મર્યાદા ૫૮ વર્ષ સુધીની છે. જે અગાઉ ૬૧ વર્ષ સુધીની હતી.  


સૌથી ચર્ચાસ્પદ ચેહરો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા છે, જેમને કેબિનેટમાં મંત્રી પદ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા રાજ્યસભાના સાંસદ નારાયણ રાણેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેબિનેટ મંત્રી પદે શપથ લેવડાવ્યા હતા, જેઓ અગાઉ મહારાષ્ટ્રના સીએમ રહી ચુક્યા છે અને શિવસેનામાંથી કોંગ્રેસમાં અને અંતે ભાજપમાં સામેલ થયા હતા. રાણે બાદ આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શપથ લીધા હતા. તેઓને પણ કેબિનેટ મંત્રી બનાલાયા છે. 






50 વર્ષથી ઓછી વયના મંત્રીઓ


જે મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા તેમાં ૫૦ વર્ષથી ઓછી વયના પર નજર કરીએ તો સ્મૃતિ ઇરાની (૪૫), કિરણ રિજ્જુજી (૪૯), મનસુખ માંડવિયા (૪૯), કૈલાસ ચૌધરી(૪૭), સંજીવ બલયાન(૪૯), અનુરાગ ઠાકુર (૪૬), ડો. ભારતી પ્રવીણ પવાર(૪૨), અનુપ્રિયા પટેલ (૪૦), શાંતનુ ઠાકુર(૩૮), જ્હોન બર્લા (૪૫), ડો. એલ મુરુગન (૪૪)નો સમાવેશ થાય છે. આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને યુપીના આઠ જેટલા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યાં છે.


આ મંત્રીઓનો લેવાયા રાજીનામા


હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ નિશંક, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા, પ્રતાપ સારંગી, બાબુલ સુપ્રીયો, રાવ સાહેબ દાનવે પાટિલ, સદાનંદ ગૌડા.