નવી દિલ્હીઃ નાગરિકતા કાયદો અને એનઆરસી પર થયેલા હંગામાની વચ્ચે હવે મોદી સરકાર આજે એક મોટો નિર્ણય લેવા જઇ રહી છે, આ નિર્ણય પર પણ મોટો હંગામો થવાની સંભાવના છે. આ નિર્ણય રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવાનો છે.


આજે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. સરકાર બહુ જલ્દી NPRને પણ અપડેટ કરવાનુ કામ શરૂ કરવાની છે.

આ માટે 31 જુલાઇએ કામની પ્રક્રિયા શરૂ કરવાની અધિસૂચના પણ આપી દેવામાં આવી હતી. આજે એટલે કે મંગળવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં 2021ની વસ્તીગણતરી અને NPR ને અપડેટ કરવાની ઔપચારિક મંજૂરી મળવાની સંભાવના છે.



આ સાથે બન્ને કામો માટે કેબિનેટ લગભગ 8500 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી શકે છે. આમ તો 2010માં પહેલીવાર એનપીઆર બનાવવાની વાત શરૂ થઇ હતી, પણ એનઆરસી અને નાગરિકતા કાયદા પર વિવાદની વચ્ચે એનપીઆરને અપડેટ કરવાનો નિર્ણય નવી ચર્ચા ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, બંગાળ અને કેરાલા સરકાર પહેલાથી અહીં એનપીઆર માટે ચલાવવામાં આવેલી પ્રક્રિયાને સ્થગિત કરી ચૂકી છે.