નવી દિલ્હીઃ આર્થિક મંદીના અણસાર વચ્ચે મોદી સરકાર દેશના કરોડો લોકોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી  હોવાનું જાણવા મળી રહ્યું છે. મોદી સરકાર નોકરીયાતોને લઈને મહત્વની જાહેરાત કરી શકે છે. સરકાર મીડલ ક્લાસને ઈન્કમ ટેક્સ સ્લેબમાં ઘટાડાની ભેડ આપી શકે છે. નાણામંત્રી નિર્મલા સિતારમન 1 ફેબ્રુઆરી, 2020ના રોજ રજૂ થનારા બજેટમાં આ બાબતની જાહેરાત કરી શકે છે.


લાઈવ મિંટમાં છપાયેલા સમાચાર અનુસાર, ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં ઓછી અને મધ્યમ આવકવાળા પગારદારો માટે રાહતની જાહેરાત કરતા સરકાર વ્યક્તિગત ઈન્કમ ટેક્સના દરમાં ફેરફાર કરી શકે છે.

અહેવાલ અનુસાર, સરકાર 1 ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટમાં 2.5 લાખથી 10 લાખ રૂપિયા વચ્ચેની આવક પર ટેક્સ રેટ 10 ટકા કરી શકે છે. જ્યારે 10 લાખથી 20 લાખ રૂપિયા સુધીની ઈન્કમ વાળા માટે ટેક્સ રેટ ઘટાડી 20 ટકા કરવામાં આવી શકે છે. જોકે, ટેક્સથી છૂટની મર્યાદા 2.50 લાખ રૂપિયા અપરિવર્તિત રહી શકે છે.

સૂત્રો અનુસાર, ન્યુ ડાયરેક્ટ ટેક્સ કોડને લઈ રચેલા ટાસ્ક ફોર્સની ભલામણ અનુસાર પણ ઈન્ડીવ્યુઝ્યલ ઈન્કમ ટેક્સમાં છૂટની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. ટાસ્ક ફોર્સે આ વર્ષે ઓગસ્ટમાં પોતાનો રિપોર્ટ જમા કર્યો હતો. નાણા મંત્રાલય આ રિપોર્ટ પર વિચાર કરી રહી છે.

હાલમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા ટેક્સ લાગે છે. જ્યારે 5-10 લાખ રૂપિયા સુધી ઈન્કમવાળા 20 ટકા અને 10 લાખ લાખ રૂપિયાથી વધારે ઈન્કમ પર 30 ટકા ટેક્સ આપવો પડે છે. જ્યારે 1 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા અને 5 કરોડ રૂપિયાની કમાણીવાળા લોકોએ સરચાર્જ પણ આપવો પડે છે.