નવી દિલ્હીઃ ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ગયા સપ્ટેમ્બરના રોજ સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડ કરી શક્યું નહીં. લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન મોદી ઇસરો સેન્ટરમાં હાજર હતા. હવે તેને લઇને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ કહ્યું કે, તેમને લાગે છે કે વડાપ્રધાન મોદીએ ઇસરો સેન્ટરમાં પગ મુક્યો જેને કારણે વૈજ્ઞાનિકોનું નસીબ ખરાબ થઇ ગયુ હતું.


જનતા દળ સેક્યુલર (જેડીએસ)નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદી બેંગલુરુ આવ્યા, આ સંદેશ આપવા માટે પોતે ચંદ્રયાન-2ને લેન્ડ કરાવી રહ્યા હતા. વૈજ્ઞાનિકોએ 10-12 વર્ષ સુધી ખૂબ મહેનત કરી અને તે ફક્ત પ્રચાર કરવા માટે અહી આવ્યા હતા. જેવો તેમણે ઇસરો સેન્ટરમાં પગ મુક્યો મને લાગે છે કે વૈજ્ઞાનિકોનું નસીબ ખરાબ થઇ ગયુ.

નોંધનીય છે કે ઇસરોએ વિવિધ અભ્યાસ માટે ચંદ્રયાન-2 મોકલ્યુ હતુ. જેનો એક હિસ્સો એટલે કે ઓર્બિટર ચંદ્રમાની કક્ષામાં સ્થાપિત થઇ ચૂક્યો છે. જે ચંદ્રનુ ચક્કર લગાવી રહ્યું છે. બીજો હિસ્સો લેન્ડર વિક્રમ સાત સપ્ટેમ્બરના રોજ લેન્ડ થવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ અચાનક લેન્ડર વિક્રમે પોતાનું સંતુલન ગુમાવી દીધુ હતુ અને ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.