હૈદરાબાદઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ડંકો વગાડનારી ભારતીય ક્રિકેટ ટીમ ભારત પાછી આવી ગઈ છે. આ ટેસ્ટ સીરિઝના સ્ટાર બોલર મોહમ્મદ સિરાઝના પિતાનું સિરાઝ ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે મૃત્યુ થઈ ગયું હતું. સિરાઝ પિતાની અંતિમવિધીમાં નહોતો આવી શક્યો ત્યારે ઓસ્ટ્રેલિયાથી પાછા ફર્યા પછી સિરાઝ એરપોર્ટથી સીધો પિતાની કબર પર ગયો હતો. પિતાની કબર પર ફૂલ ચડાવીને ભાવુક થઈને રડી પડ્યો હતો. પિતાને શ્રધ્ધાંજલિ આપ્યા પછી સિરાઝ ટોલી ટોકી ખાતે આવેલા તેના ઘરે ગયો હતો.


સિરાઝના પિતા મોહમ્મદ ઘાઉસનું 20 નવેમ્બરે નિધ થયું હતું. તેના એક અઠવાડિયા પહેલાં જ સિરાઝ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો હતો તેથી સિરાઝ પિતાની અંતિમવિધીમાં નહોતો આવી શક્યો. સિરાઝના પિતા ઈચ્છતા હતા કે, સિરાઝ ભારતીય ક્રિકેટ ટીમમાંથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમે. પિતાનું આ સપનું સાકાર કરવા માટે સિરાઝ ઓસ્ટ્રેલિયામાં જ રહે એવી સલાહ પરિવારજનોએ આપતાં સિરાઝ ઓસ્ટ્રેલિયામાં જ રહી ગયો હતો.



સિરાઝ માટે ઓસ્ટ્રેલિયાની સીરિઝ શાનદાર રહી હતી. સિરાઝે ભારતીય બોલરોમાં સૌથી વધારે 13 વિકેટો ઝડપી હતી. ભારત માટે નિર્ણાયક ચોથી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં સિરાઝે પાંચ વિકેટ ઝડપીને સિરીઝે ભારતની જીતનો પાયો નાંખ્યો હતો.