Mohan Bhagwat Jammu Kashmir Visit: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત શુક્રવાર (13 ઓક્ટોબર) થી જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. આરએસએસ ચીફે રવિવારે (15 ઓક્ટોબર) કહ્યું કે જે લોકો સમાજને નુકસાન પહોંચાડવા માંગે છે તેમની સાથે દેશે કડક વ્યવહાર કરવો જોઈએ. સંઘના સ્વયંસેવકોની સભાને સંબોધતા, તેમણે અહિંસક, દયાળુ, કરુણાવાન અને મજબૂત બનવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.


 






નબળાઓની રક્ષા પર ભાગવતે શું કહ્યું?


સંઘના વડાએ અહિંસા પર ભાર મૂક્યો, પરંતુ એમ પણ કહ્યું કે જે લોકો સમાજ અને રાષ્ટ્રને નુકસાન પહોંચાડવા અથવા તોડવા માગે છે તેમની સાથે વ્યવહાર કરવા માટે જે પણ પદ્ધતિ જરૂરી છે તે અપનાવવી પડશે. તેમણે કહ્યું કે જેમ ગરીબોની મદદ માટે પૈસા દાનમાં આપવામાં આવે છે તેમ શક્તિનો ઉપયોગ નબળાઓની સુરક્ષા માટે થવો જોઈએ. આરએસએસના વડા ભાગવતે કહ્યું, “પૈસા ગરીબોને મદદ કરવા માટે દાન કરવામાં આવે છે અને શક્તિનો ઉપયોગ નબળાઓની મદદ માટે થાય છે. સમાજ અને રાષ્ટ્રના સંદર્ભમાં આ ભાવના દરેકના મનમાં હોવી જોઈએ. આ એવા મૂલ્યો છે જે આપણા ધર્મમાં સમાવિષ્ટ છે. એમાં કોઈ શંકા નથી.”


 






શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી


તેમણે કહ્યું, "જ્યાં નિર્બળોને ક્રૂરથી બચાવવાની જરૂર છે, ત્યાં જરૂરિયાત મુજબ બળનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોવું જોઈએ. જો આપણે દુનિયામાં નિર્બળોને ક્રૂરથી બચાવવા માંગતા હોય, તો આપણા હાથમાં શસ્ત્રો હોવા જોઈએ. આ સંદર્ભે, દરેક વ્યક્તિએ તેની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે." આરએસએસના વડા મોહન ભાગવતે કઠુઆ ચોક ખાતે જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી હતી અને મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમણે શહેરના બહારના વિસ્તારમાં આવેલા જખુદમાં જઈને ભારત માતાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.