નવી દિલ્લી: જમ્મુ-કશ્મીર સીમા પર આવેલા ઉરીમાં ચાર પાકિસ્તાનની આતંકવાદીઓએ આર્મીને નિશાન બનાવી હતી. આ હુમલામાં 20 જવાનો શહીદ થયા છે. આ જવાનોમાં 15 બિહાર રેજીમેંટ અને બે ડોગરા રેજિમેંટના છે અને 19 જવાનો ઘાયલ થયા છે.


આજે શહીદોને શ્રીનગરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જે બાદ તેમના પાર્થિવ દેહને દિલ્લી લાવવામાં આવશે. વળતા હુમલામાં સેનાએ ચારેય આતંકવાદીઓને ઠાર માર્યા છે. દરેક આતંકી જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠનના હતા.

આ હુમલા બાદ સરકાર પર બદલ લેવા માટે જબરદસ્ત દબાણ છે. ગઈ કાલે રાજનાથ સિંહના ઘરે એક બેઠક થઈ હતી. જે બાદ હવે પીએમ મોદી પાસેથી મંજૂરી મળતા એક્શન લેવાય તેવી શક્યતાઓ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શનિવારે એલઓસીમાંથી 16 આતંકવાદીઓ ઘૂસ્યા હતા. આ આતંકવાદીઓ ત્રણ ગ્રુપમાં વહેંચાઈ ગયા હતા. જેમાંથી એક ગ્રુપે ઉરીમાં હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બીજા બે ગ્રુપમાંથી એક મોટા હુમલાના ઈરાદાથી પૂંછ તરફ તો બીજુ શ્રીનગર તરફ ગયું છે.

ઉરી એટેકમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા બાદ 4-4ના ગ્રુપમાં જમ્મુ-કશ્મીરમાં પાકિસ્તાનથી આવેલા 12 આતંકવાદીઓ ફરી રહ્યા છે.

ઉરીમાં માર્યા ગયેલા આતંકાવાદીઓ પાસેથી મળી આવેલા હથિયારો અને સામાન પાકિસ્તાનમાં બનેલા છે. પણ હંમેશાની જેમ પાકિસ્તાને કહ્યું છે કે આ હુમલામાં તેનો હાથ નથી અને ભારત  તપાસ વિના આરોપ લગાડી રહ્યું છે.

આતંકવાદીઓએ કેંપના એ ટેંટ્સને નિશાન બનાવ્યા જ્યાં જવાન ડ્યુટી પૂરી કરીને સૂઈ રહ્યા હતા. આતંકવાદીઓએ આ ટેંટ્સ પર સતત ગ્રેનેડ્સ ફેંક્યા હતા. જેના કારણે આગ  લાગી હતી. મોટા ભાગે જવાનો આ આગમાં દાઝીને શહીદ થયા હતા. જાણકારી અનુસાર આતંકીઓ પાસે પણ હથિયાર હતા. આતંકીઓને મારવા માટે પેરાકમાંડો બોલાવવામાં આવ્યા હતા. છ કલાકની અંદર પેરા કમાંડોએ ચાર આતંકવાદીઓને મારી નાખ્યા હતા.

લેફ્ટનંટ જનરલ રણબીર સિંહે જણાવ્યું કે અમને આતંકીઓ પાસેથી સામાન મળ્યો છે જે પાકિસ્તાનનો છે. જેથી મે  પાકિસ્તાની ડીજીએમઓ સાથે વાત કરીને ગંભીર ચિંતા અંગે જાણ કરી છે.

પીએમ મોદીએ હુમલાની નિંદા કરતા કહ્યું કે દોશિતોને છોડવામાં નહિ આવે. ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે અમે ઉરીમાં થયલા હુમલાની નિંદા કરીએ છીએ. હું દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે આ હુમલાના દોષિતોને છોડવામાં નહિ આવે. તમામ શહીદોને અમે નમન કરીએ છીએ. દેશ તેમની સેવાઓને હંમેશા યાદ રાખશે.

હુમલા બાદ રાજનાથ સિંહે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને એક બાજુ કરી દેવું જોઈએ. રાજનાથે કહ્યું કે ઉરીમાં શામેલ આતંકીઓ ભારે હથિયારો સાથે આવ્યા હતા. પાકિસ્તાન એક આતંકી રાષ્ટ્ર છે અને માટે તેને એક બાજુ કરી દેવું જોઈએ.