લખનઉ: ઉત્તરપ્રદેશના ઉન્નાવની રેપ પીડિતાનું શુક્રવારે રાત્રે દિલ્હીના સફરજંગ હોસ્પિટલમાં મોત થયું હતું. તેનો મૃતદેહ દિલ્લીથી ઘરે લઈ જવામાં આવ્યો છે. ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. મહત્વનું છે કે, પીડિતાએ પોતાની અંતિમ ક્ષણોમાં તેના ભાઈને કહ્યું હતું કે, ‘હુ જીવવા માગું છું’.

ઉત્તર પ્રદેશના સરકારે પીડિતાના પરિવારને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે દિવંગત પીડિતાના પરિવારને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે પ્રધાનમંત્રી આવાજ યોજના હેઠળ એક ઘર અને આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાશે તેનું પરિવારને આશ્વાસન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાની હાલત નાજુક હતી, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડૉ.શલભ કુમારે કહ્યું કે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાંય પીડિતાને બચાવી શકયા નથી. સાંજે તેની સ્થિતિ ખરાબ થવા લાગી હતી. રાત્રે 11.10 વાગ્યે તેને કાર્ડિયર અરેસ્ટ આવ્યો. તેની સારવાર શરૂ કરાઇ અને તેને બચાવાની પૂરો પ્રયત્ન કર્યો પરંતુ 11.40 વાગ્યે તેનું મોત થયું હતું.