Abbas Ansari And Nikhat Bano : ઉત્તર પ્રદેશમાં ચિત્રકુટ જેલ સુપ્રિટેન્ડેન્ટના રૂમમાં માફિયા ડોન મુખ્તાર અંસારીના પુત્ર અને ધારાસભ્ય અબ્બાસ અંસારી અને તેમની પત્ની નિયમોના લીરે લીરા ઉડાડી જેલમાં જ એકાંતવાસ ભોગવતા હતાં. એ પણ થોડો ઘણો સમય નહીં પણ 3 થી 4 કલાક જેટલો સમય બંને જેલમાં એકાંતમાં પસાર કરતા હોવાનો ખુલાસો થતા સનસનાટી મચી જવા પામી હતી. આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં જેલ સુપ્રિટેન્ડેન્ટ અશોક સાગર અને જેલર સંતોષ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


આ ઉપરાંત ડેપ્યુટી જેલર પીયૂષ પાંડે અને 5 કેપ્ટિવ ગાર્ડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ જેલ અધિક્ષક સામે ખાતાકીય તપાસ માટે સરકારને પત્ર લખવામાં આવ્યો છે. આમ જેલ એકાંતવાસ મામલે અત્યાર સુધીમાં 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


આ મામલે ડીઆઈજી જેલ પ્રયાગરાજના રિપોર્ટ બાદ અબ્બાસ અંસારીની જેલ ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. જેલ પ્રશાસન સાથે સાંઠગાંઠ દ્વારા અબ્બાસ અને તેમની પત્ની વચ્ચે આ પ્રકારની ખાસ મુલાકાતો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી. આશ્ચર્યજનક વાત તો એ હતી કે બંને વચ્ચેની આ મુલાકાતની રજિસ્ટરમાં કોઈ જ એન્ટ્રી નહોતી કરવામાં આવતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના બાદ જ ઉન્નાવના જેલર રાજીવ કુમાર સિંહને ચિત્રકૂટના નવા જેલર અને દેવ દર્શન સિંહને ચિત્રકૂટના નવા ડેપ્યુટી જેલર બનાવવામાં આવ્યા છે.


અબ્બાસ અન્સારીની પત્નીની કરાઈ ધરપકડ


આ કેસમાં મુખ્તાર અંસારીના ધારાસભ્ય પુત્ર અબ્બાસ અંસારીની પત્નીની ચિત્રકૂટ જેલમાં અયોગ્ય રીતે મળ્યા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી જેલ પરિસરમાં એક મોબાઈલ ફોન અને ખાવાની વસ્તુઓ પણ મળી આવી છે. આ સાથે જેલમાં અબ્બાસ અન્સારીની પત્નીને મળવાના મામલે જેલ સુપ્રિટેન્ડેન્ટ અશોક સાગર, જેલર સંતોષ કુમાર, ડેપ્યુટી જેલર પીયૂષ પાંડે સહિત વોર્ડન રેન્કના 5 જેલ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિભાગીય તપાસ માટે પણ આજે સરકારને પત્ર મોકલવામાં આવી રહ્યો છે.


શું છે મામલો?


અહેવાલ અનુસાર, રગૌલી પોલીસ સ્ટેશનની કોતવાલી પોલીસે આ સંબંધમાં કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી મઉ સીટના ધારાસભ્ય છે અને ચિત્રકૂટ જેલમાં બંધ છે. અબ્બાસની પત્ની નિખત બાનો તેના ડ્રાઈવર નિયાઝ સાથે છેલ્લા ઘણા દિવસોથી દરરોજ સવારે 11 વાગે જેલમાં આવતી હતી અને અહીં એક ગુપ્ત રૂમમાં પતિ અબ્બાસ સાથે 3-4 કલાક અંદર વિતાવીને પરત ચાલી જતી હતી.


પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ, નિખત બાનોને અબ્બાસ અન્સારીને મળવા માટે કોઈ પાસ નહોતી જરૂર કે પછી ના તો તેની કોઈ રોક ટોક કરવામાં આવતી. નિખતને જેલમાં બંધ પતિને મળવા અને મધુર સમય વિતાવવાનો છુટ્ટો દોર આપવામાં આવ્યો હતો. અબ્બાસ સામે અનેક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. ચિત્રકૂટ જેલમાં અબ્બાસ તેની પત્નીના મોબાઈલ ફોન દ્વારા કેસના સાક્ષીઓ અને ફરિયાદ પક્ષના અધિકારીઓને ધમકી આપતા હોવાનો અને પૈસાની માંગણી પણ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે.