મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેમના ટાર્ગેટ પર હોવાની ધમકી આપવામાં આવી છે.  મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી પણ આપી છે. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 509(2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.






મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્ધારા ધમકી આપવામાં આવી હતી કે યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર અને મોદી સરકાર તેમના ટાર્ગેટ પર છે. ધમકી આપનાર આરોપીએ મેસેજમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ કારતૂસ અને એકે 47 છે. આ સાથે મુંબઈમાં 26/11ના જેવો હુમલો ફરીથી કરવાની પણ વાત કરવામાં આવી છે.


પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી


આ બાબતને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસ અજાણ્યા વ્યક્તિને શોધી રહી છે. આ કિસ્સામાં વર્લી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 509 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


પીટીઆઈ-ભાષાના અહેવાલ મુજબ, 9 જુલાઈના રોજ યુપીના 112 નંબર પર પોલીસને ધમકીભર્યો કોલ આવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં દેવરિયા જિલ્લાની કોતવાલી પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે, આરોપ છે કે તેણે દારૂ પીને યુપી-112 નંબર પર ફોન કર્યો હતો.


અગાઉ પણ ધમકીઓ મળી છે


પોલીસે તરત જ તેના ફોન નંબરના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને તેને કસ્ટડીમાં લીધો. આરોપી યુવક ગોરખપુરનો રહેવાસી છે, પોલીસે આ જાણકારી 10 જુલાઈએ આપી હતી. આ મામલે દેવરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ દેવરિયા જિલ્લાના ભુજૌલી કોલોનીના રહેવાસી અરુણ કુમાર તરીકે થઇ હતી. તેણે ધમકી આપી હતી કે તે પીએમ મોદી અને સીએમ યોગીને મારી નાખશે.


સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે આરોપીએ દારૂના નશામાં આ કૃત્ય કર્યું હતુ. તેમણે એમ પણ કહ્યું કે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી અને તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.