મસુરીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે અને મોટાભાગના રાજ્યોએ ઢીલ આપી છે. જેની સાથે જ લોકો તેમના પરિવાર સાથે પર્યટન સ્થળો પર ફરવા નીકળી પડ્યા છે. જેને લઈ હિલ સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો કોવિડ પ્રોટોકોલનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. પ્રવાસીઓની ભીડની તસવીરોને જોઈ કેન્દ્ર સરકાર પોતાની ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે. હવે તેની સાઇડ અસર સામે આવવા લાગી છે. મસૂરીમાં ત્રણ લોકો  કોરોના પોઝિટિવ મળ્યા છે.


નોડલ અધિકારી ડો. પ્રદીપ રાણાએ કહ્યું કે, ત્રણ લોકો છાવણી બોર્ડમાં રહે છે અને તેમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા અન્ય 17 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. કોરોનાની ત્રીજી લહેર હજુ આવવાની બાકી છે તેમ છતાં નૈનીતાલ, મસૂરી, મનાલી જેવા હિલ સ્ટેશનો પર પર્યટકોની સતત ભીડ ઉમટી રહી છે. ભીડમાં ઘણા લોકો માસ્ક પહેર્યા વગર ફરતાં હોય છે અને આ અંગેના વીડિયો પણ સામે આવ્યા છે.


કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બજારો તથા પર્યટન સ્થળો પર ઉમટી રહેલી ભીડને લઈ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને સચેત કર્યા છે. તેમણે કહ્યું કે ભીડ પર નિયંત્રણ રાખવા જિલ્લા તથા સ્થાનિક અધિકારીઓ કડક નિર્દેશ જાહેર કરે, જેથી કોવિડ-19ને ફેલાતો રોકી શકાય. ગઈકાલે જ પ્રધાનમંત્રી મોદીએ પ્રવાસન સ્થળો તથા બજારોમાં માસ્ક પહેર્યા વગર અને કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.


એડવાઇઝરીમાં રાજ્ય સરકારોને કોવિડ-19 ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરાવવાની સલાહ આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ધીમી પડતાં અને મામલા ઘટ્યા બાદ અનેક રાજ્યોએ લગાવેલા પ્રતિબંધોમાં હવે રાહત આપી છે. જે બાદ પર્યટન સ્થળો, મોલ તથા બજારો જેવા સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો ન તો સોશિયલ ડિસ્ટન્સ રાખે છે કે ન તો કોરોના પ્રોટકોલનું પાલન કરી રહ્યા છે.


તો પ્રતિબંધ લગાવી દેવાશે


એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોવિડ સંબંધિત યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આ જગ્યા પર ફરીથી પ્રતિબંધ લગાવી દેવાશે અને ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.  ઉપરાંત એમ પણ જણાવાયું છે કે કોવિડની બીજી લહેર હજુ ખતમ થઈ નથી.


દેશમાં શું છ કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,792 કેસ આવ્યા છે. જ્યારે 624 લોકોના મોત થયા હતા અને 41,000 દર્દી સાજા થયા હતા. દેશમાં કુલ રસીકરણનો આંકડો 38,76,97,935 પર પહોંચ્યો છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 37,14,441 ડોઝ આપવામાં આવ્યા હતા.



  • કુલ કેસઃ 3,09,46,074

  • કુલ રિકવરીઃ 3,01,04,720

  • એક્ટિવ કેસઃ 4,29,946

  • કુલ મૃત્યુઆંકઃ 4,11,408