નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી છે. અમિત શાહે હાર સ્વીકારતા કહ્યું કે દિલ્હી ચૂંટણી પર તેમનું આકલન ખોટું પડ્યું, ગોલી મારો અને ભારત -પાકિસ્તાન જેવા નિવેદનો નહોતા આપવા જોઈતા. પાર્ટીએ આ પ્રકારના નિવેદનોથી ખુદને અલગ રાખી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે દિલ્હી ચૂંટણીના પરિણામ સીએએ અને એનઆરસી માટે જનાદેશ નથી.


એક ખાનગી ચેનલન સાથેની વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યું કે, એવું બની શકે કે પાર્ટીના નેતાઓએ આપેલા નિવેદનોના કારણે નુકસાન ભોગવવું પડ્યું હોય. અમે જીત કે હાર માટે ચૂંટણી નથી લડતા. ભાજપ એક એવી પાર્ટી છે જે વિચારધારાને આગળ વધારવામાં વિશ્વાસ રાખે છે. કૉંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેઓએ ધર્મના આધારે દેશના ભાગલા પાડ્યા.

આ ઉપરાંત તેઓએ કહ્યું કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર બધાને છે. જેણે નાગરિકતા કાયદા સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવી હોય તે તેમની ઓફિસથી સમય લઈ શકે છે. ત્રણ દિવસની અંદર સમય આપી દેવામાં આવશે. પીએફઆઈના શાહીન બાગ પ્રોટેસ્ટ સાથે લિંક પર અમિત શાહે કહ્યું કે અમે લોકો તમામ રિપોર્ટ્સની તપાસ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણીમાં ભાજપના નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનને લઈને ચૂંટણી પંચે પણ કાર્યવાહી કરી હતી. ચૂંટણી પહેલા ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું હતું પરંતુ 11 ફેબ્રુઆરીએ પરિણામ બિલકૂલ ઉલ્ટા આવ્યા હતા.