નવી દિલ્લીઃ રાજ્યસભામાં આજે અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને વિદાય આપતી વખતે પ્રવચન આપતી વખતે મોદી માત્ર રડી જ નહોતા પડ્યા પણ ગુલામ નબી આઝાદને સલામ પણ કરી હતી.


આઝાદ જ્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે બનેલી એક ઘટનાને યાદ કરીને મોદી રડી પડ્યા હતા. એ વખતે મોદીએ આઝાદ તરફ આદર દર્શાવતાં કહ્યું કે, સત્તાનો ઉપયોગ પોતાનો પ્રભાવ ઉભો કરવા માટે તેમણે કર્યો નથી અને સત્તાને કઈરીતે પચાવવી એ તેમણે સૌને શીખવ્યું છે એ માટે મને આદર છે. આ વાત કરતી વખતે મોદીએ ગુલામ નબી આઝાદને સલામ કરી હતી અને આઝાદે પણ સામો પ્રતિભાવ આપ્યો હતો.

ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જમ્મુ અને કાશ્મીરમાં એ વખતે થયેલા આતંકવાદી હુમલા વખતે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ગુલામ નબી આઝાદે નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની સલામતીની ખાતરી આપી હતી. મોદીએ આઝાદ એ વખતે રડી પડ્યા હતા તેનો ઉલ્લેખ કરીને પોતે પણ રડી પડ્યા હતા. મોદી વારંવાર ભાવુક થઈને રડતા રહ્યા હતા ને વચ્ચે વચ્ચે બોલી પણ નહોતા શકતા. તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. ગુલામ નબી આઝાદે તેમને ત્રણ વાર ફોન કરીને મિત્રના રૂપમાં પોતાના તરફ અને ગુજરાતીઓ તરફ બતાવેલી લાગણીને પોતે કદી નહીં ભૂલી શકે એવું તેમણે કહ્યું હતું.