નવી દિલ્હીઃ પંજાબના મંત્રી નવજોતસિંહ  સિદ્ધુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોતસિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલ્યું છે. તેમણે ટ્વિટ કરી રવિવારે આ જાણકારી આપી હતી. સિદ્ધુએ જણાવ્યું કે, તે પોતાનું રાજીનામું 10 જૂનના રોજ આપી દીધુ છે પરંતુ આજે ખુલાસો કરી રહ્યા છે.


પંજાબમા મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોગ્રેસને સારી બેઠકો નહી મળવાનો દોષ અમરિંદર સિંહે સિદ્ધુ પર ઢોળ્યો હતો અને કેન્દ્રિય નેતૃત્વ વિરુદ્ધ સિદ્ધુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એટલું જ નહી મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ છ જૂનના રોજ થયેલી કેબિનેટની પ્રથમ જ બેઠકમાં સિદ્ધુ સહિત અનેક મંત્રીઓના વિભાગ બદલ્યા હતા.

સિદ્ધુ પાસે પહેલા સ્થાનિક સ્વશાસન વિભાગ હતો પરંતુ બાદમાં તેમને ઉર્જા અને નવીનીતકરણ ઉર્જા વિભાગ સોંપાયો હતો. સિદ્ધુએ મંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. ગત બેઠકમાં મુખ્યમંત્રીએ તેમની પાસેથી પર્યટન અને સંસ્કૃતિ મામલાનો પ્રભાર પણ પાછો લઇ લીધો હતો. મુખ્યમંત્રીએ સિદ્ધુનો વિભાગ બદલ્યો પરંતુ સિદ્ધુએ પોતાનો કાર્યભાર સંભાળ્યો નહોતો અને તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુએ ટ્વિટમા કહ્યું કે, કોગ્રેસ અધ્યક્ષને મળ્યો અને મારો પત્ર સોંપ્યો અને સ્થિતિની જાણકારી આપી હતી.