નવી દિલ્લી: ક્રિકેટરથી નેતા બનેલા નવજોત સિંહ સિદ્ધૂએ આખરે બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમને બુધવારે વિધિવત રીતે બીજેપીના અધ્યક્ષ અમિત શાહને પોતાનું રાજીનામું આપ્યું હતું. સિદ્ધૂએ હાલમાં પોતાની નવી રાજનૈતિક પાર્ટી ‘આવાજ-એ-પંજાબ’ને લૉંચ કરી દીધી છે.


બીજેપીના રાજ્યસભા સાંસદ રહેલા સિદ્ધૂએ 18 જુલાઈએ સભ્યતા છોડી દીધી હતી. ત્યારથી નક્કી થઈ ગયું હતું કે, સિદ્ધૂ બીજેપીથી સત્તાવાર રીતે પણ પુરી રીતે અલગ થઈ જશે. પહેલા સિદ્ધૂ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો હતી, પરંતુ અમુક વાતોમાં કેજરીવાલ સાથે સહમતિ ન બનતા તેઓ આપમાં જોડાયા નહોતા.

સિદ્ધૂએ ગત સપ્તાહે તમામ અટકળો ઉપર વિરામ લગાવતા પંજાબ ચૂંટણી માટે પોતાનો રાજનૈતિક પક્ષ ‘આવાજ-એ-પંજાબ’ની જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે, કેજરીવાલ તેમનાથી ચૂંટણી ઉમેદવાર તરીકે નહીં, પરંતુ તેમનાથી ચૂંટણી પ્રચાર કરાવવા માંગે છે. આપની સાથે વાતચીતના સંબંધમા સિદ્ધૂએ જણાવ્યું કે, આપના ટોચના નેતાઓ જેમાં ખાસ કરીને અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં તેમની ભૂમિકા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નહોતું.

સિદ્ધૂએ કહ્યું હતું કે, કેજરીવાલ મને એક શોપીસ બનાવવા માંગતા હતા. કેજરીવાલે મને ચૂંટણી ન લડવા અને માત્ર પાર્ટીનો પ્રચાર કરવા કહ્યું હતું. મારી પત્નીને મંત્રી બનાવવાનો વાયદો ચોક્કસ કર્યો હતો. હવે સિદ્ધૂ પોતાના પક્ષ દ્વારા આગલા વર્ષે થનાર પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તમામ 117 બેઠકો ઉપરથી ઉમેદવારો ઉભા રાખશે.