મહારાષ્ટ્રના મંત્રીઓ સાથે શરદ પવારે બંધ બારણે બેઠક કરી? જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2020 09:52 AM (IST)
ભીમા કોરેગાંવની સાથોસાથ યલગાર પરિષદ કેસની તપાસ પણ એનઆઈએને સોંપવા મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયથી શરદ પવાર ખૂબ નારાજ જોવા મળ્યાં
મુંબઈ: ભીમા કોરેગાંવ હિંસાની તપાસ એનઆઇએને સોંપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી એનસીપી નેતા શરદ પવાર નારાજ થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. જેને લઈને સોમવારે તેમણે પોતાના ઘરે પક્ષના તમામ 16 પ્રધાનોની બેઠક બોલાવી હતી. બેઠક બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે, રાજ્ય સરકાર એસઆઈટીના માધ્યમથી ભીમા કોરેગાંવ કેસમાં સમાંતર તપાસ કરાવશે. એસઆઇટીની રચના અંગે ગૃહપ્રધાન ટૂંક સમયમાં જ નિર્ણય લેશે. હકીકતે ભીમા કોરેગાંવની સાથોસાથ યલગાર પરિષદ કેસની તપાસ પણ એનઆઈએને સોંપવા મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયથી શરદ પવાર ખૂબ નારાજ જોવા મળ્યાં હતાં. શરદ પવારે ભીમા કોરેગાંવ કેસની તપાસ પૂણે પોલીસે એનઆઇએને સોંપ્યાના કેટલાક દિવસ પહેલાં જ કહ્યું હતું કે, પૂણે પોલીસના કેટલાંક લોકોનો વ્યવહાર વાંધાજનક હતો. હું ઈચ્છું છું કે, આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થાય. પવારનું કહેવું હતું કે, મહારાષ્ટ્ર સરકારના પ્રધાનો સાથે આ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે કેસને એનઆઈએને સોંપી દીધો હતો. બંધારણ મુજબનો નિર્ણય નથી કેમ કે અપરાધની તપાસ કરવી તે રાજ્યના અધિકારમાં આવે છે.