ટોલ નાકા પર હવે લાંબી લાઈનમાં ઊભા રહેવામાંથી મળશે છૂટકારો, 1 ડિસેમ્બરથી બદલાઈ જશે ટોલ ટેક્સનો નિયમ
abpasmita.in | 15 Oct 2019 05:28 PM (IST)
આ યોજના લાગુ થયા બાદ દેશમાં કોઈ પણ વાહન કેશમાં ટોલ આપ્યા વગર ગમે ત્યાં ટ્રાવેલ કરી શકશે. જો કે યાત્રા કરનાર શખ્સની કાર પર ફાસ્ટટેગ હોવું ફરજિયાત છે.
નવી દિલ્હી: ટોલ પ્લાઝા પર હવે ટેક્સ આપવા માટે લાંબી લાંબી કતારમાં ઊભા રહેવામાંથી મુક્તી મળશે. 1 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યાં છે. વાસ્તવમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે કે 1 ડિસેમ્બર 2019થી ટોલ ટેક્સ માત્ર ફાસ્ટેગ દ્વારા ચુકવવું પડશે. આ યોજના લાગુ થયા બાદ દેશમાં કોઈ પણ વાહન કેશમાં ટોલ આપ્યા વગર ગમે ત્યાં ટ્રાવેલ કરી શકશે. જો કે યાત્રા કરનાર શખ્સની કાર પર ફાસ્ટટેગ હોવું ફરજિયાત છે. ગડકરીએ જણાવ્યું કે, ફાસ્ટેગ મંત્રાલયની મુખ્ય પહેલ છે. જેનાથી વાહનોની અવરજવર સુનિશ્ચિત થશે અને અવરોધોને દૂર કરશે. જીએસટી પરિષદ, જીએસટી ઈ-વે બિલ પ્રણાલીના એકીકરણને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ મામલે કરાર પણ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ભારતીય નેશનલ હાઈવે ઓથોરિટી(એનએચએઆઈ) હેઠળ કુલ 1.4 લાખ કિલોમીટર હાઈવે આવે છે. જેમાંથી 24,996 કિલોમીટર રાજમાર્ગ ટોલ હેઠળ આવે છે. વર્ષના અંતમાં તે વધીને 27,000 કિલોમીટર થઈ જશે.