Andhra Pradesh lifts Night Curfew: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ દરમિયાન ઘણા રાજ્યોએ રાત્રિ કર્ફ્યૂ હટાવવાની સાથે નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. હવે વધુ એક રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, આંધ્ર પ્રદેશ સરકારે નાઇટ કર્ફ્યુ હટાવવાની જાહેરાત કરી છે. જાહેર સ્થળોએ તમામ વ્યક્તિઓ દ્વારા માસ્ક પહેરવું ફરજિયાત છે અને તેનું પાલન ન કરવા પર 100 રૂપિયાનો દંડ લાગશે. આ ઓર્ડર 28મી ફેબ્રુઆરી 2022 સુધી અમલમાં રહેશે.


આંધ્રપ્રદેશમાં કોવિડ-19ની શું છે સ્થિતિ


આંધ્રપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસ 14,726 છે. જ્યારે 22,83,788 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોના 14,698 લોકોને ભરખી ગયો છે.


આ રાજ્યોએ નાઈટ કર્ફ્યૂ હટાવવાની કરી છે જાહેરાત


હિમાચલ પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, રાજસ્થાન, આસામ સરકારોએ પણ ઝડપથી ઘટતા ચેપના કેસોને ધ્યાનમાં રાખીને નાઇટ કર્ફ્યુ હટાવવાની જાહેરાત કરી છે.


આ રાજ્યોમાં છે નાઈટ કર્ફ્યૂ


દેશના મોટાભાગના રાજ્યોમાં ભલે કોરોના વાયરસના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે, પરંતુ તેમ છતાં ઘણા રાજ્યોએ વધારાની તકેદારી રાખીને નાઇટ કર્ફ્યુ જાળવવાનો નિર્ણય લીધો છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઓડિશાનો સમાવેશ થાય છે.


જોકે, ઉત્તર પ્રદેશ સરકારે કર્ફ્યુનો સમયગાળો એક કલાક અને ગુજરાત સરકારે બે કલાકનો કર્યો છે. તેનાથી વિપરીત, બંગાળ અને ઓડિશા સરકારે સમયગાળો લંબાવ્યો છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે હોય તેમ દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 27409 નવા કોરોના કેસ અને 347 લોકોના મૃત્યુ થયા છે. 82,817 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,29,536 ટેસ્ટ કરવામાં આવ્યા છે.



  • એક્ટિવ કેસઃ 4,23,127

  • કુલ ડિસ્ચાર્જઃ 4,17,60,458

  • કુલ મૃત્યુઃ 5,09,358

  • કુલ રસીકરણઃ 173,42,62,440 (જેમાંથી 44,68,365 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા)