નવી દિલ્હીઃ નિર્ભયા રેપ કેસના હત્યારાઓને ફાંસીના માંચડે ચડાવવા માટે ગુરુવારે પવન જલ્લાદ તિહાર જેલ પહોંચી જશે. અત્યાર સુધી પૂરી થયેલ કાયદાકીય પ્રક્રિયામાં જો કોઈ ફેરફાર ન થાય તો 1લી ફેબ્રુઆરીએ સવારે છ કલાકે ચારેયને ફાંસી આપી દેવામાં આવશે. ત્યારે આગામી 24 કલાકમાં જલ્લાદ પવન તિહાર જેલ પહોંચી જશે.


તિહાર જેલના ડીજી સંદીપ ગોયલે જણાવ્યું કે, ‘ગુરુવારે સવારે પવન જલ્લાદને મેરઠથી તિહાર જેલ લાવવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા એ જણાવવામાં નથી આવ્યું કે પવનને ક્યાં રાખવામાં આવશે? જોકે એ નક્કી છે કે, પવનના દિલ્હી પહોંચતા જ સૌથી પહેલા તિહાર જેલમાં આવેલ ફાંસી ઘર લઈ જવામાં આવશે જેથી તે ત્યાં ફાંસી માટે તિહાર પ્રશાસને જે વ્યવસ્થા કરી છે તેની જાણકારી મેળવશે.’

ગુરુવારે તિહાર જેલ જ મેરઠથી પવન જલ્લાદને લાવવાની વ્યવસ્થા કરશે. પવન જલ્લાદ મેરઠથી દિલ્હી ક્યા રસ્તે આવશે અને ક્યા સમયે આવશે, કેટલી સુરક્ષા સાથે આવશે? એ તમામ સવાલોનો જવાબ આપવાની તિહાર જેલ પ્રશાસને સુરક્ષાનું કારણ આપીને ના પાડી દીધી છે. જોકે બીજી બાજુ સૂત્રો જણાવે છે કે, પવન જલ્લાદને તિહાર જેલની મજબૂત અને ખૂબ જ સુરક્ષિત જેલ વેનમાં લાવવા માટે ઓછામાં ઓછા 15-20 હથિયારબંધ પોલીસકર્મીની જરૂર પડશે.

પવનને દિલ્હીના રસ્તે લાવવામાં આવશે. જોકે, અંતિમ સમય રસ્તો બદલવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવના છે. આ સંભાવના છે કે જલ્લાદને લાવવા માટે દિલ્હી પોલીસની સાથે તામિલનાડુ સ્પેશિલ ફોર્સના જવાનો પણ સુરક્ષામાં જોડાઈ શકે છે.