નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં દોષિત મુકેશ કુમાર સિંહે પોતાના જૂના વકીલ પર આરોપ લગાવી કહ્યું કે, તેમણે જણાવ્યું નહોતું કે, ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે ત્રણ વર્ષનો સમય હોય છે. એવામાં તમામ કાર્યવાહી રદ કરવામાં આવે અને તેને ક્યૂરેટિવ પિટિશન અને અન્ય કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરવાની મંજૂરી  આપવામા આવે. મુકેશે પોતાના વકીલ એમએલ શર્મા  મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.


મુકેશના વકીલ શર્મા તરફથી અરજી દાખલ કરીને ભારત સરકાર, દિલ્હી સરકાર અને એમિક્સ ક્યૂરીને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે તે કાવતરાનો શિકાર બન્યો છે. તે જાણતો નહોતો કે લિમિટેશન એક્ટ હેઠળ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે ત્રણ વર્ષનો સમય હોય છે. આ રીતે જોવા જઇએ તો તેના મૌલિક અધિકારથી વંચિત રાખવામાં આવ્યો છે. આ કારણે અરજી કરવામાં આવી છે.

એમએલ શર્મા તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે લિમિટેશન એક્ટની કલમ 137માં અરજી દાખલ કરવાની સમય સીમા નક્કી છે. સાથે કાયદાકીય જોગવાઇઓ પણ છે જેમાં અરજી દાખલ કરવાની સમયસીમા નક્કી નથી. તેમાં ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો છે. આ રીતે જોઇએ તો ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે ત્રણ વર્ષની સમયસીમા છે.