નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોના પર કાબૂ મેળવવા સરકાર સતત નવા પગલાં ભરી રહી છે. દિલ્હીમાં કોરોના ટેસ્ટને લઈ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જે મુજબ હવે દિલ્હીવાસીઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર માત્ર આધાર કાર્ડ બતાવીને ટેસ્ટ કરાવી શકશે.


દિલ્હી હાઇકોર્ટે મંગળવારે આદેશ આપ્યો કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19નો સ્વેચ્છાએ RT-PCR ટેસ્ટ કરાવનારા લોકો માટે ડોક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત નહીં રહે. અત્યાર સુધી કોવિડ-19 ટેસ્ટ માટે લક્ષણો હોવા કે ડોક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી હતું.

જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની પીઠે કહ્યું, લોકોએ કોવિડ-19 તપાસ માટે દિલ્હીમાં રહેતા હોવાના પ્રમાણપત્ર તરીકે આધારકાર્ડ બતાવવું પડશે અને આઈસીએમઆર દ્વારા નિર્ધારીત ફોર્મ ભરવું પડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 95,735 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,172 લોકોના મોત થયા છે. દેશમાં હાલ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 44 લાખ 62 હજારને પાર થઈ ગઈ છે. જેમાંથી 75,062 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 19 હજાર થઈ છે અને 34 લાખ 71 હજાર લોકો ઠીક થઈ ગયા છે.

ICMR મુજબ 9 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 29 લાખ સેંપલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાંથી 11 લાખ સેંપલ ટેસ્ટિંગ કાલે થયું હતું. પોઝિટિવિટી રેટ 27 ટકાથી ઓછો છે.