બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી આજે ભારે હંગામાં બાદ આવતીકાલ સુધી ટાળવામાં આવી છે. જેનાથી નારાજ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે જો આજે બહુમત પરીક્ષણ નહીં થાય તો તેમના ધારાસભ્ય વિધાનસભામાં જ સૂઈ જશે અને રાતભર પ્રદર્શન કરશે.


આ પહેલા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમારને પત્ર લખીને જણાવ્યું હતું કે આજે વિશ્વાસ મતની પ્રક્રિયા પૂરી કરાવે. રાજ્યપાલે પોતાના પત્રમાં કહ્યું “કર્ણાટકના મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ મતના પ્રસ્તાવ પર આજે સદનમાં ચર્ચા થઈ રહી છે. મુખ્યમંત્રી પાસે પોતાના કાર્યકાળ દરમિયાન દરેક સમયે સદનનો વિશ્વાસ જાળવી રાખવાની આશા હોય છે. ”

રાજ્યપાલના પત્ર પર કૉંગ્રેસે આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે આજ સુધી રાજ્યપાલ તરફથી આવો પત્ર ક્યારેય નથી ગયો. આજે શા માટે ? કૉંગ્રેસના નેતા એચકે પાટિલે કહ્યું “રાજ્યપાલના પ્રતિનિધિ સદનમાં હાજર છે. અમે તેમનું સ્વાગત કરીએ છે. પરંતુ રાજ્યપાલે સદનની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવું જોઈએ નહીં.”

ત્યારે બીજી તરફ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે 12 વાગ્યા સુધી ચર્ચા માટે અમે તૈયાર છે પરંતુ વિશ્વાસ મત આજે જ થવો જોઈએ અને બહુમત આજે જ નક્કી થવી જોઈએ. નહીં તો અમે રાતભર ધરણા પ્રદર્શન કરીશું.

આ પહેલા મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો. વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કરી વખતે કુમારસ્વામીએ કહ્યું કે બાગી ધારાસભ્યોએ ગઠબંધન સરકારને લઈને દેશભરમાં શંકા પેદા કરી છે પરંતુ અમારે સચ્ચાઈ બતાવવાની છે. તેમણે કહ્યું આખો દેશ કર્ણાટકના ઘટનાક્રમને જોઈ રહ્યો છે.

કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ)ની ગઠબંધન સરકાર બની છે ત્યારથી જ આ સરકાર પર ખતરો તોળાતો રહ્યો છે. જોકે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોના રાજીનામા બાદથી કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીની ખુરશી પર ખતરો વધી ગયો છે. આ સ્થિતિમાં હવે વિશ્વાસ મતની નોબત આવી પડી છે. રાજકીય પંડિતોના મતે કર્ણાટક સરકાર પડી શકે છે.

224 ધારાસભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામાના ડ્રામા પહેલા બીજેપી પાસે 105 સભ્યો હતા. જ્યારે કોંગ્રેસના 76 અને જેડીએસના 37 સભ્યો હતો. જોક હવે ધારાસભ્યોના રાજીનામા બાદ સમીકરણો બદલાઈ ગયા છે. બળવાખોર ધારાસભ્યોના કારણે કોંગ્રેસના 66 અને જેડીએસના 34 સભ્યો જ રહ્યા છે. જ્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં કોઈ ફેર પડ્યો નથી. આ કારણે જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વિધાનસભામાં બીજેપી પણ ઓછી થઈ ગઈ છે. કર્ણાટકમાં આ ઉપરાંત બે અપક્ષ, એક બીએસપી અને એક નોમિનેટેડ સભ્ય પણ છે.