જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની ઘર્ષણ ચિંતાનો વિષય છે અને ત્યાં આંતરરાષ્ટ્રીય સરહદોનું ઉલ્લંઘન ન થવું જોઈએ. જર્મન રાજદૂતે એમ પણ કહ્યું કે ભારત અને જર્મની બંને રશિયા અને ચીનના મુદ્દાઓને લઈને એકબીજાના સંપર્કમાં છે.


ભારત સિવાય કોઈ દેશ ચીનનો મુકાબલો કરી શકે નહીંઃ જર્મન


યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેના પ્રશ્નના જવાબમાં જર્મન રાજદૂતે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે આ કરાર થાય. FTAને કારણે ભારત સાથેના અમારા વેપાર સંબંધોમાં અભૂતપૂર્વ ફેરફારો જોવા મળશે. ફિલિપે કહ્યું હતું કે જર્મની ચીન પર ખૂબ જ નિર્ભર છે. આપણે અન્ય દેશો સાથે પણ વેપાર વધારવો પડશે. જર્મન રાજદૂતે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારત અમારી પ્રાથમિકતામાં એટલો નથી જેટલો હોવો જોઇએ.


જર્મન એમ્બેસેડર ફિલિપે સ્પષ્ટ કર્યું હતું કે વિકાસ, વસ્તી અને અન્ય પાસાઓના સંદર્ભમાં ભારત સિવાય બીજો કોઈ દેશ નથી જે ચીન સાથે સ્પર્ધા કરી શકે. તેમણે કહ્યું કે જ્યારે પણ બિઝનેસની વાત આવે છે ત્યારે લોકો હજુ પણ મલેશિયા અથવા વિયેતનામ તરફ જુએ છે. મને સમજાતું નથી કે તેઓ આવું કેમ કરે છે? કદાચ તેનું એક કારણ ભારતમાં સંરક્ષણવાદી વાતાવરણ અને કેટલીક નિયમનકારી સમસ્યાઓ છે.


સરહદ વિવાદ ચિંતાનો વિષય: જર્મન રાજદૂત


LAC પાસે થયેલા ઘર્ષણ પર જર્મન રાજદૂતે કહ્યું કે અમારી પાસે આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી નથી. પરંતુ અમે મીડિયા રિપોર્ટ્સમાં જે વાંચ્યું છે તેના પરથી કહી શકીએ કે અમે તેના વિશે ચિંતિત છીએ. તેમણે કહ્યું કે હું જે જોઈ રહ્યો છું તે હિંસા છે. પહેલાથી જ પશ્ચિમી દેશોમાં હિંસા થઈ રહી છે, હવે પૂર્વીય ક્ષેત્રમાં હિંસા થઈ રહી છે. મને લાગે છે કે આ ચિંતાનો વિષય છે. આપણે હંમેશા આંતરરાષ્ટ્રીય સરહદોનું ઉલ્લંઘન કરવાનું ટાળવું જોઈએ. જો આપણે યુરોપની વાત કરીએ તો લોકોનું જીવન પહેલાથી જ રશિયા અને યુક્રેનના યુદ્ધથી પ્રભાવિત છે.


આ પહેલા બુધવારે અમેરિકાએ તવાંગ મુદ્દે  કહ્યું હતું કે ચીન ઉશ્કેરણીજનક નીતિ અપનાવી રહ્યું છે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના સહયોગી દેશો વિરુદ્ધ જાણીજોઈને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. ચીનને સલાહ આપતાં અમેરિકાએ કહ્યું હતું કે અમે અમારા સહયોગીઓની સુરક્ષા માટે અમારી પ્રતિબદ્ધતા પર અડગ છીએ.