દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર સાથે જોડાયેલ સૂત્રો અનુસાર, દિલ્હીમાં 5 રાજ્યોમાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટથી દિલ્હી આવનારા લોકોએ કોરોના નેગેટિવ રીપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે. કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા કેસને કારણે દિલ્હી સરકારે આ નિર્ણય કર્યો છે.


મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબથી દિલ્હી આવનારા લોકોએ નેગેટિવ RT-PCR બતાવવા પર જ દિલ્હીમાં એન્ટ્રી મળશે. આ પાંચ રાજ્યોના નોડલ ઓફિસરને કહેવામાં આવશે કે તે પોતાને ત્યાંથી દિલ્હી આવી રહેલ લોકોના 72 કલાક જૂનો નેગેટિવ RT-PCR ટેસ્ટ રીપોર્ટ સુનિશ્ચિત કરે ત્યાર બાદ જ દિલ્હી તરફ પ્રસ્થાન કરવા દેવા.

ક્યા પ્રવાસીઓ પર લાગુ રહેશે આ નિર્ણય

આ આદેશ ફ્લાઈટ, ટ્રેન અને બસ (પબ્લિક ટ્રાન્સપોર્ટ)થી દિલ્હી આવનારા પ્રવાસીઓ પર લાગુ થશે જ્યારે કાર(પ્રાઈવેટ વાહન)થી દિલ્હી આવનારા પ્રવાસીને આ નિયમ લાગુ નહીં પડે. આ નિર્ણયને લઈને દિલ્હી સરકાર ઔપચારિક આદેશ બહાર પાડી શકે છે. આ આદેશ 26 ફેબ્રુઆરી શુક્રવારથી મોડી રાતથી લઈને 15 માર્ચ બપોરે 12-00 કલાક સુધી લાગુ રહેશે.

દિલ્હીમાં કોરોના કેસની કુલ સંખ્યા 6,38,028 થઈ ગઈ છે. તેમાંથી 10,901 દર્દીના મોત થઈ ગયા છે. જોકે આ બીમારીની ઝપેટમાં આવેલ 6,26,086 લોકો ઠીક થયા છે. રાજધાનીમાં એક્ટિવ કેસની સંખ્યા 1041 છે. અત્યાર સુધી 1.20 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે.