Nupur Sharma case :  નૂપુર શર્મા કેસમાં હવે વિશ્વ હિન્દૂ પરિષદ(Vishva Hindu Parishad)ની એન્ટ્રી થઇ છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) પણ નુપુર શર્મા સમર્થનમાં આવી ગઈ છે. VHP મંગળવારે રાજધાની દિલ્હીના 100 મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરીને નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકીનો વિરોધ કરશે.


VHPનો હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ
VHPએ હિન્દુ સમાજને અપીલ કરી છે કે તેઓ તેમની શેરી અને વિસ્તારના તમામ મંદિરોમાં રાત્રે 8 વાગ્યાથી એક કલાક હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ રાખે અને જાનથી મારી નાખવાની ધમકી આપનારાઓનો વિરોધ કરે. દિલ્હીના જહાંગીરપુરીમાં ગત હનુમાન જન્મજયંતિ પર નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાને કારણે અફરાતફરી મચી ગઈ હતી.


કેટલાક લોકો બંધારણથી ઉપર જવા માંગે છે : સુરેન્દ્ર કુમાર ગુપ્તા
વિશ્વ હિંદુ પરિષદના દિલ્હી પ્રાંતના પ્રમુખ સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ એક ન્યુઝ અજેન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત દેશના બંધારણથી ચાલે છે અને અહીં રહેતા તમામ લોકો આ બંધારણ પ્રમાણે જીવે છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં ચોક્કસ પ્રકારના લોકો આ બંધારણથી ઉપર જવા માંગે છે અને ખુલ્લેઆમ કોઈપણ વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.


આ અમાનવીય વિચારસરણી છે : સુરેન્દ્ર કુમાર ગુપ્તા
તેમણે કહ્યું કે આ માત્ર બંધારણની વિરુદ્ધ નથી, પરંતુ અમાનવીય વિચારસરણી છે, તેથી તેમણે સમગ્ર હિન્દુ સમાજના લોકોને પોતપોતાના મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અને આવી વિચારસરણીનો વિરોધ કરવાની અપીલ કરી છે. આ કાર્યક્રમ મંદિરની અંદર પૂજા કરવા માટે મર્યાદિત રાખ્યો હોવાથી વહીવટીતંત્ર પાસેથી આ માટે કોઈ પરવાનગી લેવામાં આવી નથી.