National Herald Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)  અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની પૂછપરછ કરી છે. રાહુલ ગાંધીને જૂનના પહેલા અઠવાડિયામાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ કેસમાં આજે એટલે કે 13 જૂને રાહુલ ગાંધી તુગલક લેનમાં તેમના નિવાસસ્થાનથી હજારો પાર્ટી કાર્યકર્તાઓ સાથે EDની ઓફિસ પહોંચ્યા. આ કેસમાં તેમની પૂરા ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આવો જાણીએ શું છે આ સમગ્ર કેસ  જેના પર દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે.


નેશનલ હેરાલ્ડ શું છે?
નેશનલ હેરાલ્ડએ એક ન્યૂઝપેપર  (National Herald News Paper) છે, જેની શરૂઆત પંડિત જવાહરલાલ નેહરુએ વર્ષ 1938માં કરી હતી. આ ન્યૂઝપેપર ચલાવવાની જવાબદારી 'એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ' (AJL) નામની કંપનીની હતી. આ કંપનીમાં શરૂઆતથી જ કોંગ્રેસ અને ગાંધી પરિવારનું વર્ચસ્વ હતું. 


લગભગ 70 વર્ષ પછી, 2008 માં આ ન્યૂઝપેપરને નુકસાનને કારણે બંધ કરવું પડ્યું. ત્યારબાદ કોંગ્રેસે પાર્ટી ફંડમાંથી AJLને વ્યાજ વગર 90 કરોડ રૂપિયાની મોટી લોન આપી. ત્યારબાદ સોનિયા અને રાહુલ ગાંધીએ 'યંગ ઈન્ડિયા' (Young India)નામની નવી કંપની બનાવી. એસોસિએટેડ જર્નલ્સને આપવામાં આવેલી લોનના બદલામાં યંગ ઈન્ડિયાને કંપનીમાં 99 ટકા હિસ્સો મળ્યો. સોનિયા અને રાહુલ ગાંધી યંગ ઇન્ડિયા  કંપનીમાં 38-38 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે બાકીના ભાગીદાર મોતીલાલ બોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ હતા.


EDએ  શા માટે તાપસ શરૂ કરી? 
નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case) જેના કારણે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને EDના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો તે 10 વર્ષ પહેલા 2012માં શરૂ થયો હતો. જ્યારે રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે 90.25 કરોડની વસૂલાત કરવાનો અધિકાર મેળવવા માટે માત્ર 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જે AJLએ કોંગ્રેસને આપવાના હતા. એટલે કે 50 લાખ રૂપિયાના બદલામાં  90.25 કરોડની સંપત્તિના માલિક બન્યા. 


આ કેસમાં આ બે ઉપરાંત અન્ય 4 ચહેરાઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, પત્રકાર સુમન દુબે અને સામ પિત્રોડા. આ પૈકીના બે આરોપી મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસનું અવસાન થયું છે.


સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલા દાવામાં આરોપ છે કે નેશનલ હેરાલ્ડને યંગ ઈન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ખોટી રીતે હસ્તગત કરવામાં આવી હતી અને કોંગ્રેસના નેતાઓએ AJLની કરોડોની સંપત્તિ જપ્ત કરી હતી. બે વર્ષ બાદ જૂન 2014માં કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જાહેર કર્યા હતા. 


આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જામીન પર બહાર છે 
ઓગસ્ટમાં EDએ આ મામલાની નોંધ લીધી અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. સોનિયા અને રાહુલ ગાંધીએ 2015માં દિલ્હીની પટિયાલા કોર્ટમાંથી અલગ-અલગ રૂ.50,000ના વ્યક્તિગત બોન્ડ અને સમાન જામીનની રકમ ચૂકવ્યા બાદ આ કેસમાં જામીન મેળવ્યા હતા. એટલે કે આ બંને હાલ આ કેસમાં જામીન પર બહાર છે.  બીજા વર્ષે એટલે કે 2016માં સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી હતી, પરંતુ આ નેશનલ હેરાલ્ડ કેસમાં કાર્યવાહીને રદ્દ  કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.


સોનિયા-રાહુલ પાસેથી શું જાણવા માંગે છે ED?
EDએ સોનિયા ગાંધીને 8 જૂને અને રાહુલ ગાંધીને 13 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. EDના અધિકારીઓએ કહ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ED સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનો રેકોર્ડ કરવા માંગે છે. ED સોનિયા, રાહુલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની પૂછપરછ કરીને નાણાકીય વ્યવહારો, યંગ ઈન્ડિયાના પ્રમોટર્સ અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની ભૂમિકા વિશે જાણવા માંગે છે.


EDએ તપાસના ભાગરૂપે તાજેતરમાં કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને પવન બંસલની પણ પૂછપરછ કરી હતી. કોંગ્રેસ સમર્થિત યંગ ઈન્ડિયામાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં તાજેતરમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સામે ઈન્કમટેક્સ વિભાગની તપાસને ટ્રાયલ કોર્ટે સંજ્ઞાન લીધા પછી EDએ PMLAની ફોજદારી જોગવાઈઓ હેઠળ નવો કેસ નોંધ્યો હતો.