કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટી એનઆરસીને લઇને સતત આક્રમક રહી છે. પાર્ટીના પશ્વિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ બુધવારે કહ્યું કે, એનઆરસી પશ્વિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે અને એક પણ હિંદુને દેશ છોડવો પડશે નહીં. વિજયવર્ગીયએ સત્તાધારી પાર્ટી તૃણમુલ કોગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષ એનઆરસી પર ભ્રમ ફેલાવીને સામાન્ય લોકો વચ્ચે ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


કોલકત્તામાં એક કાર્યક્રમમાં વિજયવર્ગીયે કહ્યુ કે, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે હું તમને આશ્વાસન આપું છું કે એનઆરસી લાગુ કરવામાં આવશે પરંતુ કોઇ પણ હિંદુને દેશ છોડવો નહી પડે. તમામ  હિંદુને નાગરિકતા આપવામાં આવશે. ટીએમસી પર ઇશારો કરતા કહ્યું કે, કેટલાક લોકો છે જે અસત્ય ફેલાવે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાજ્યમાં એનઆરસી લાગુ થવાની અટકળો વચ્ચે લોકો બર્થ-સર્ટિફિકેટ અને જરૂરી દસ્તાવેજ લેવા કોલકત્તા અને પશ્વિમ બંગાળના તમામ અન્ય હિસ્સાઓમાં સરકારી અને નગર નિગમ કાર્યાલયો બહાર લાઇન લગાવીને ઉભા જોવા મળી રહ્યા છે. ટીએમસી સરકાર તરફથી તેને લાગુ કરવામાં નહી આવે તેવી વાત કરતા છતાં લોકો દોડ લગાવી રહ્યા છે. આસામમાં એનઆરસીની અંતિમ યાદીમાં મોટી સંખ્યામાં બંગાળીઓના નામ ન હોવાના કારણે અફરાતફરીનો માહોલ છે.