Coromandel Express Derail: ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની દુર્ઘટના બાદ વિરોધ પક્ષો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી રહ્યા છે. શનિવારે (03 જૂન) આ સમગ્ર મામલાની પ્રતિક્રિયા આપતા રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે આ રાજકારણ કરવાનો સમય નથી પરંતુ  રેલવેની સેવા ફરીથી કાર્યરત થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે.






તેમણે કહ્યું હતું કે આ દુ:ખદ દુર્ઘટના પછી તમામ પ્રયાસો રેલવે સેવા ફરીથી શરૂ થાય તે માટે અને ઘાયલ લોકોને સારવાર મળી રહે તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. વાસ્તવમાં ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત અને 900 થી વધુ લોકો ઘાયલ થયા પછી ઘણા વિરોધ પક્ષો સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રેલવે મંત્રીએ આ નિવેદન આપ્યું હતું.


રેલવે મંત્રીના રાજીનામાની માંગ


આ પહેલા કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, “જ્યારે રેલ્વે મંત્રી વારંવાર કહે છે કે અમારી સિસ્ટમ સુરક્ષિત છે અને કોઈ ગંભીર અકસ્માત ન થઈ શકે તો તે કેવી રીતે થયો? પ્રથમ ટ્રેન અકસ્માતમાં લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અમે પીએમ મોદીની કેબિનેટ પાસેથી આની અપેક્ષા રાખતા નથી, પરંતુ જો તેઓને (અશ્વિની વૈષ્ણવ) થોડી શરમ આવતી હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ.


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું, "આ અકસ્માતને લઈને ઘણા પ્રશ્નો ઉઠાવવાની જરૂર છે, પરંતુ તેમની પાર્ટી રવિવારે આ પ્રશ્નો ઉઠાવશે." તેમણે કહ્યું હતું કે "ઓડિશામાં ટ્રેન દુર્ઘટના ખરેખર ખૂબ જ દર્દનાક છે. તે ખૂબ જ દુઃખની વાત છે.


આ સિવાય તૃણમૂલ કોંગ્રેસે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની પણ માંગ કરી છે. ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે  "આવા અકસ્માતોને રોકવા માટે ટ્રેનોમાં અકસ્માત વિરોધી ડિવાઇસ સ્થાપિત કરવાને બદલે કેન્દ્ર સરકાર વિપક્ષી નેતાઓની જાસૂસી કરવા માટે સોફ્ટવેર પર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ગરીબ લોકો કેન્દ્ર સરકારની ઉદાસીનતાનો ભોગ બને છે.


રેલ ઈતિહાસના સૌથી ભયાનક અકસ્માતોમાંના એક ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ ટ્રેન - શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડી વચ્ચે અકસ્માત થયો હતો. પેસેન્જર ટ્રેન કોરોમંડલ શાલીમાર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતા તે માલગાડી સાથે ટકરાઇ હતી અને તેના કેટલાક કોચ બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ ટ્રેન સાથે ટકરાયા હતા.