નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસને લઈ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોરોના સંકટને લઈ સરકાર પર કેટલાક સવાલ ઉઠાવ્યા અને કેટલાક સૂચન પણ કર્યા હતા


રાહુલ ગાંધીએ કહ્યું, માત્ર લોકડાઉનથી કોરોનાને હરાવી નહીં શકાય. તે માત્ર PAUSE બટન જેવું છે. કોરોનાને હરાવવાની એક જ રીત ટેસ્ટિંગ છે. દેશમાં રેન્ડમ ટેસ્ટિંગ થવું જોઈએ. હાલ દેશમાં ઈમરજન્સી જેવી હાલત છે. એક જિલ્લામાં માત્ર 350 ટેસ્ટ થઈ રહ્યા છે, જે અપૂરતા છે.

રાહુલે કહ્યું, દેશમાં ટેસ્ટિંગનો દર ઘણો ઓછો છે અને તેના કારણે આપણને કોરોના વાયરસના દર્દીની સંખ્યા અંગે યોગ્ય જાણકારી નથી મળી રહી. દેશમાંથી જ્યારે લોકડાઉન હટશે ત્યારે કોરોના વાયરસનો ખતરો વધશે. આપણે આ સત્યને સમજવું પડશે.

તેમણે એમ પણ કહ્યું, કેન્દ્ર સરકારે રાજ્યોને પૈસા આપી દેવા જોઈએ અને રાજ્યોના મુખ્યમંત્રીઓને વધારે સત્તા આપવી જોઈએ. સરકાર પાસે ગોડાઉનમાં અનાજના ઢગલ છે તેને ગરીબોમાં વહેંચવું જોઈએ.

કોરોના પર જીતનો દાવો કરવો હાલ ઠીક નથી, અત્યારે તો લડાઈ શરૂ થઈ છે. સરકારે સમજવું પડશે કે કોરોના વાયરસના કારણે દેશમાં આગળ જતાં ખાદ્યાનની અછત સર્જાવાની છે, મોટા પાયે નોકરીમાંથી છટણી થવાની છે. શું સરકારે પાસે તેનો કોઈ યોગ્ય પ્લાન છે?