નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલું લોકડાઉન ખતમ થવાના એક દિવસ પહેલા જ મોદી સરકારના અનેક મંત્રીઓએ આજે ઓફિસમાં આવીને કામકાજ શરૂ કરી દીધું છે. પ્રદાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા તમામ મંત્રીઓને સોમવારથી ઓફિસે હાજર થવા જણાવવામાં આવ્યું હતું. આ પહેલા મોટાભાગના મંત્રી ઘરેથી કામ કરતા હતા.


આજે ખેલ અને યુવા બાબતોના મંત્રી કિરણ રિજ્જુ ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં તેમમે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, માત્ર અધિકારીઓ અને જરૂરી સ્ટાફ જ આજથી ઓફિસે આવશે. અમે કોરોનાવાયરસ સાથે સંકળાયેલા તમામ દિશા-નિર્દેશોનું પાલન કરીશું.

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવાના પડકાર વચ્ચે કેન્દ્ર સરકાર હવે જાન જી-જહાન જી રણનીતિ અંતર્ગત સરકારી કામકાજને પાટા પર લાવવાની કવાયતમાં લાગ્યું છે. પીએમઓ તરફથી કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓને સોમવારથી તેમના કાર્યાલયમાં હાજર થવા જણાવાયું હતું. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટેસિંગનું ધ્યાન રાખવા પણ જણાવ્યું છે.

પીએમઓ તરફથી સંયુક્ત સચિવથી ઉપરના સ્તરના તમામ અધિકારીઓને ઓફિસે જવા કહેવામાં આવ્યું છે. નીચલા સ્તરના કર્મચારીઓ રોટેશન પર બોલાવવામાં આવશે.