નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તબિયત લથડતાં તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમિત શાહને આ વખતે પણ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં દાખલ કરાયા છે. શાહને કઈ તકલીફ છેતે અંગે કઈ જાણકારી નથી અપાઈ પણ તેમની તબિયત બગડતાં શનિવારે રાત્રે 11 વાગ્યે તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.


આ પહેલાં પણ અમિત શાહને 18 ઓગસ્ટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં દાખલ કરાયા હતા. એ વખતે સ્પષ્ટતા કરાઈ હતી કે, અમિત શાહની તબિત બગડી નથી પણ કોરોનાની સારવાર લીધા પછી તેમની તબિયત પર નજર રાખી શકાય એ માટે તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. શાહની તબિયત સારી થઈ જતાં તેમણે હોસ્પિટલમાંથી જ કામગીરી શરૂ કરી હોવાનું દિલ્લી એઈમ્સ દ્વારા જણાવાયું હતું. શાહને લગભગ બે અઠવાડિયાં સુધી એઈમ્સમાં રખાયા પછી થોડા દિવસો પહેલા જ રજા અપાઈ હતી.

અમિત શાહને 2 ઓગસ્ટે કોરોના થતાં તેમને ગુરગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખવ કરાયા હતા. 14 ઓગસ્ટે અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી હતી પણ સાવચેતી ખાતર તે હોમ ક્વોરેન્ટાઈન થયા હતા.