નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે પ્રવાસી મજૂરો માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં પ્રવાસી મજૂરોને 2 મહિના સુધી ફ્રી રાશન મળશે. જેમાં કાર્ડ હોલ્ડરને ઘઉં-ચોખા પહેલાથી જ આપવામાં આવે છે તે ચાલતું રહેશે અને જેમની પાસે કાર્ડ નથી તેમને પણ 5 કિલો ચોખા અને 1 કિલો ચણા આપવામાં આવશે. આ અનાજ રાજ્ય સરકારની મદદથી મજૂરો સુધી પહોંચશે.
આ સિવાય સરકાર પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે પીએમ આવાસ હેઠળ ટુંક સમયમાં રેન્ટલ હાઉસિંગ સ્કીમ લાવશે. આ યોજનાથી ગરીબોને ઓછા ભાડામાં રહેવા માટે ઘર મળશે.
આ યોજનાથી એ શ્રમિકોને પણ લાભ થશે જેમની પાસે કોઈ પણ પ્રકારનું કાર્ડ નથી. આ સાથે જ સરકાર વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરશે જેથી આ પ્રકારની આફત સર્જાય તો કોઈપણ પરપ્રાંતિયને અનાજ મેળવવામાં તકલીફ ન પડે. લોકો જ્યાં હોય ત્યાંથી પણ અનાજ મેળવી શકે. આ અમલવારી માર્ચ 2021થી દેશભરની રાશનની દુકાનોમાં શરુ થઈ જશે.