ચીફ જસ્ટિસની વિરૂદ્ધમાં મહાભિયોગ પ્રસ્તાવનો કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, એસપી, બીએસપી, અને મુસ્લિમ લીગે સમર્થન કર્યું છે. કોંગ્રેસે વિપક્ષી દળોની મિટિંગ પણ બોલાવી હતી, પરંતુ તામિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકે અને બંગાળની સત્તાધારી ટીએમસીએ આ બેઠકથી અંતર રાખ્યું. એટલું જ નહીં પ્રસ્તાવની નોટિસ પર સાઇન કરનાર સમાજવાદી પાર્ટી પણ મિટિંગથી દૂર જ રહી. રિપોર્ટ્સના મતે આરજેડી વિપક્ષી દળોની બેઠકમાં તો સામેલ રહ્યાં નહીં, પરંતુ કહેવાઇ રહ્યું છે કે તેણે પણ મહાભિયોગનું સમર્થન કરવાની વાત કહી છે.
વિપક્ષનો તર્ક છે કે સુપ્રીમ કોર્ટના જજોને મીડિયામાં આવી પત્રકાર પરિષદ કરવી પડી હતી. ચીફ જસ્ટિસના વહીવટી નિર્ણયોને લઇ પણ ખાસ્સી નારાજગી છે. મીડિયામાં આવનાર ચાર જજ બતાવવા માંગતા હતા કે સુપ્રીમ કોર્ટમાં બધુ યોગ્ય ચાલી રહ્યું નથી. છેલ્લાં ત્રણ મહિનામાં કંઇ બદલાયું નહીં. ચીફ જસ્ટિસે પોતાના પદનો ખોટો ઉપયોગ કર્યો, ચીફ જસ્ટિસ નિષ્પક્ષતા માટે ઓળખાય છે. જજ લોયા અને પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટને લઇ વિવાદ થયો છે.