નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું કે, હું દેશનાં લોકોને એ જણાવવા આવ્યો છું કે, અમે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.


મોદીએ આ જાહેરાત કરતાં કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, તમારાં ખેતરોમાં પાછા ફરો. તમારા પરિવાર વચ્ચે પાછા જાઓ અને એક નવી શરૂઆત કરો.


મોદીએ કહ્યું, નાના ખેડૂતોને ફાયદો કરાવવા તથા ખેતીમાં સુધારો કરવા માટે ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા. નાના ખેડૂતોને વધુ પાવર મળે એ માટે આ કાયદા લવાયા હતા.  વર્ષોથી આ પ્રકારના સુધારા કરવાની માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.
આ કાયદા લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું હતું અને  સમર્થન કર્યું હતું. હું આ બધાંનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા પણ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. અમે ખેડૂતોને સમજાવવા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છથાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. અમે 18 મહિના માટે આ કાયદાનો અણલ મોકૂફ રાખવાની તૈયારી પણ બતાવી હતી છતાં ખેડૂતોના આ વર્ગને ના સમજાવી શકતાં અમે ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.