નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે કોરોના વાયરસના સંકટ દરમિયાન કેન્દ્ર સરકાર દ્ધારા કરવામાં આવેલી આર્થિક મદદની જાણકારી આપી હતી. આ હેઠળ મંત્રાલયે જાણકારી આપી હતી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અત્યાર સુધીમાં 33 કરોડથી વધુ ગરીબ લોકોને 31,325 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી ચૂકી છે.




પ્રધાનમંત્રી કિસાન યોજનાના પ્રથમ હપ્તાના રૂપમાં દેશના આઠ કરોડ ખેડૂતોને અત્યાર સુધી 16,146 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ પ્રથમ હપ્તો એપ્રિલ મહિનામાં ગરીબ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી હતી.  નાણા મંત્રાલયે કહ્યુ કે, અત્યાર સુધીમાં કુલ 1405 કરોડ રૂપિયા આપવામાં આવ્યા જેનો ફાયદો કુલ 2.82 કરોડ વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગોને મળ્યો છે. દેશમાં 20.05 કરોડ મહિલા જનધન ખાતાધારકોને અત્યાર સુધી 10,025 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.



તે સિવાય સરકારે નોકરીયાતોને ઇપીએફના યોગદાનના રૂપમાં  162 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જેનો ફાયદો દેશના 10.6 લાખ નોકરી કરનારા લોકોને થયો છે.