નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામનાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલા અને ત્યારબાદ ભારતીય વાયુસેના તરફથી પીઓકેમાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે.




પાકિસ્તાન અત્યાર સુધી આતંકી મસૂદ અઝહરને  લઈને ચૂપ બેસી રહ્યું હતું. પરંતુ હવે તેના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કબુલ્યું છે કે, મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. આ સાથે જ કુરેશીએ કહ્યું હતું કે, મસૂદ ખુબ અસ્વસ્થ છે.

વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ કહ્યું હતું કે, પાકિસ્તાન ક્યારેય આગળ વધવા માંગતું નથી. ભારતે જ્યારે પાકિસ્તાન પર હુમલો કર્યો તો સ્થિતિ વણસી હતી. મસૂદ પર ઉઠાવવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું હતું કે, યુદ્ધની કોઈ પણ સ્થિતિને ઓછી કરવા માટે સંબંધિત પગલું ભરવા અમારા દરવાજા ખુલ્લા છે. જો ભારત પાસે પુરતા નક્કર પુરાવા હોય તો તેઓ બેસે અને વાતચીત કરે. કૃપા કરીને વાતચીત શરૂ કરે અને અમે તર્કશીલતા બતાવીશું.  

મસૂદ અઝહર પાકિસ્તાનમાં હોવા અંગે કરાયેલા સવાલ પર તેમણે સ્વીકાર્યું હતું કે, મારી જાણકારી મુજબ તે પાકિસ્તાનમાં જ છે. તેમણે આગળ કહ્યું હતું કે, તે અસ્વસ્થ છે. તે એ હદે અસ્વસ્થ છે કે તે પોતાનું ઘર પણ છોડી શકે તેમ નથી. કારણ કે તેની તબિયત ખરેખર સારી નથી.