નવી દિલ્હીઃ 26 ફેબ્યુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર ઇન્ડિયન એરફોર્સની એરસ્ટ્રાઇક બાદથી પાકિસ્તાને અત્યાર સુધીમાં 513 વખત સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. સૈન્યએ શનિવારે કહ્યું , પાકિસ્તાન બાલાકોટ હવાઇ હુમલા બાદથી દોઢ મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરની સરહદ પર લગભગ 513 વખત યુદ્ધવિરામનો ભંગ કરી ચૂક્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાને ભારતીય સેના કરતા પાંચથી છ ગણું વધારે નુકસાન થયું છે. વાઇટ નાઇટકોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનન્ટ જનરલ પરમજીત સિંહે રાજૌરીમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામ ભંગ દરમિયાન 100થી વધુ મોર્ટાર અને તોપો જેવા ભારે હથિયારોનો ઉપયોગ કર્યો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.


જીઓસીએ કહ્યું છે કે છેલ્લા દોઢ મહિનામાં લગભગ 513 વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે અને આ દરમિયાન પાકિસ્તાની સૈન્યએ 100થી વધુ મોર્ટાર અને તોપ જેવા ભારે હથિયારનો ઉપયોગ કર્યો છે. સરહદ પારથી સ્નાઇપર હુમલાની ઘટનાઓ અંગે પૂછતા સિંહે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ છેલ્લા મહિનાઓ દરમિયાન શૂન્ય પર આવી ગઇ છે. જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે પાકિસ્તાની સૈન્ય દ્ધારા સ્નાઇપર હુમલાની ફક્ત ત્રણ ઘટનાઓ બની છે.