નવી દિલ્હીઃ પાકિસ્તાને પોતાની જ જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ એટલે કે આઈએસઆઈના ચીફ રહી ચુકેલા નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ અસદ દુર્રાનીને ભારતના જાસૂસ ગણાવ્યા છે. આ વાત ખુદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કહી છે. દુર્રાની ભારતની જાસૂસી સંસ્થા રો (RAW) સાથે પણ સંપર્કમાં હોવાના આરોપ લગાવ્યા છે.


પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ઇસ્લામાબાદ હાઈકોર્ટને પૂર્વ આઈએસઆઈ ચુફ દુર્રાનું નામ એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાંથી હટાવવાનો આગ્રહ કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમની પાસે પુરાવા છે કે દુર્રાની વર્ષ 2008થી ભારતીય ગુપ્તચર એજન્સીના સંપર્કમાં છે.

નોંધનીય છે કે, અસદ દુર્રાની અને ભારતની જાસૂસી સંસ્થા રોના પૂર્વ ચીફ એએસ દુલ્લતે સાથે બમળીને ‘ધ સ્યાઈ ક્રોનિકલ્સ : રૉ, ISI એંડ ધ ઈલ્યોઝન ઓફ પીસ’ નામનું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને કારણે વર્ષ 2018માં પાકિસ્તાની સેનાએ દુર્રાનીને સમન્સ પાઠવીને તેમના પર સૈન્ય આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.

અસદ દુર્રાનીએ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે તેનું નામ નો ફ્લાઇ લિસ્ટ અને એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાંથી હટાવવામાં આવે છે. તેઓ વિદેશ જવા માગે છે માટે સરાકરે પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. પાકિસ્તાને દુર્રાનીનું નામ વર્ષ 2019માં ઈસીએલમાં સામેલ કર્યું હતું.

જોકે આ મામલે પૂર્વ ISI પ્રમુખ દુર્રાનીએ કોઈપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. તેણે કહ્યું કે, કોર્ટમાં કેસ ચાલે માટે તે કોઈ ટિપ્પણી નહીં કરે. ફેબ્રુઆરી મહિનામાં આ મામલે સુનાવણી શરૂ થવાના અણસાર છે.