પાલઘરઃ દેશમાં એક બાજુ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ અફવાની આગે નવું સંકટ પેદા કરી દીધું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં અફવા ત્રણ લોકોનો જીવ લીધો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, ધર્મ વિશેષને લઈ આ હત્યા નથી થઈ. સરકારે આ મામલાને ધાર્મિક રંગ ન આપવાની અપીલ કરી છે.


અફવાના કારણે ટોળાએ મહારાષ્ટ્રના પાલઘરમાં પોલીસની હાજરીમાં જ ત્રણ લોકોની હત્યા કરી નાંખી હતી. પોલીસે આ મામલે 101 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 9 સગીરોને બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે હત્યા, દંગા કરવા તથા સરકારી કર્મચારી પર હુમલો કરવાનો કેસ નોંધ્યો છે.

ગુરુવારે રાત્રે પાલઘર જિલલાના કાસા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે, આ વિસ્તારમાં ચોર ફરતા હોવાની અફવા ફેલાઈ હતી. રાત્રે 10 વાગ્યે ખાનવેલ માર્ગ પર નાસિક તરફથી આવતી ગાડીમાં 3 લોકો હતા. ગામ લોકોએ તેમને અટકાવ્યા અને બાદમાં ચોર હોવાની આશંકાએ પથ્તરોથી હુમલો કરી દીધો. ત્રણેયનું ઘટના સ્થલે મોત થયું હતું.

ત્રણેય મૃતકો મુંબઈના કાંદિવલીથી સુરત જતા હતા. જેમના નામ સુશીલગિરી મહારાજ (ઉ.35), ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી (ઉ.70) અને ડ્રાઇવર નિલેશ તેલગડે (ઉ.30) હતા.

પાલઘરના જે ગામમાંથી પસાર થવાના હતા ત્યાં અપહરણ અને ચોરીની અફવા ફેલાઈ હતી.  લોકડાઉનની આડમાં અપહરણ કરવામાં આવતું હોવાની અફવા ફેલાઈ હતી.

આ અફવાના કારણે ત્યાંથી પસાર થતાં ત્રણ લોકો ભોગ બન્યા હતા. આ હત્યા પોલીસની હાજરીમાં થઈ હોવાથી બીજેપીએ કડક કાર્યવાહીની માંગ કરી છે.

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું, મહારાષ્ટ્રના પાલઘરમાં 2 સંત અને તેમના ડ્રાઇવરને ટોળા દ્વારા નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ ઘટના ગુરુવારની છે. કોઈ લોકશાહી કે બંધારણના દાખલા નથી આપી રહ્યા, આપે પણ કેવી રીતે... આ સંતોનું મૃત્યુ થયું છે, અહીં સંતોનું કોણ પૂછે છે?

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે ટ્વિટ કરીને લખ્યુ, પાલઘરમાં ત્રણ લોકોની જિંદગી છીનવી લેનારી આ હિંસાની નિંદા કરુ છું. આવા ટોળાને સમાજમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.