નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક બિલ 2019 રાજ્યસભામાં ધ્વનિમતથી પાસ થઇ ગયું છે. આ બિલ પાસ થવાની સાથે જ કોગ્રેસના અધ્યક્ષના ન્યાસના સદસ્ય હોવાનો અધિકાર ખત્મ થઇ ગયો છે. તેમના સ્થાન પર લોકસભામાં વિપક્ષના નેતા અથવા પછી સૌથી મોટા પક્ષના નેતાને સભ્ય બનાવવામાં આવશે.


રાજ્યસભામાં બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલે કહ્યુ હતું કે, સરકાર સ્વતંત્રતા આંદોલન દરમિયાન થયેલા તમામ શહીદોનું સન્માન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ બિલ એ દિશામાં પ્રથમ પગલું છે.

જોકે, વિપક્ષે તેની ટીકા કરી હતી. ચર્ચામાં ભાગ લેતા કોગ્રેસે કહ્યું કે, જલિયાંવાલા બાગ ટ્રસ્ટની સ્થાપના 1921માં કરવામાં આવી હતી અને તેમાં પ્રજાએ આર્થિક રીતે સહયોગ આપ્યો હતો. 1951માં નવા ટ્રસ્ટની રચના કરાઇ હતી. આ ટ્રસ્ટમાં વ્યક્તિ વિશેષને સભ્ય બનાવવામાં આવ્યા અને બંધારણ પદ પર બેસેલા કોઇ વ્યક્તિને સામેલ કરવામાં આવ્યા નહોતા.

કોગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક બિલ 2019 પર ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકાર આ ન્યાસ માટે 3 ન્યાસિયોને પાંચ વર્ષ માટે પસંદ કરશે. જોકે, બિલ પાસ થયા બાદ કેન્દ્ર સરકાર હવે ટ્રસ્ટીઓને કોઇ કારણ વિના કાર્યકાળ પૂરો થાય તે અગાઉ હટાવી શકે છે. સરકાર  આ બિલને લોકસભામાં 2 ઓગસ્ટના રોજ પાસ કરી ચૂકી છે.