નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના વચ્ચેના મતભેદની અસર હવે સંસદમાં પણ જોવા મળી રહી છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની ગૃહમાં સીટ બદલી નાંખવામાં આવી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે રાજયસભામાં તેમની જગ્યા બદલવામાં આવતા નારાજગી વ્યક્ત કરી છે. રાઉતે રાજ્યસભાના ચેરમેન એમ વેંકૈયા નાયડૂને પત્ર લખીને કહ્યું કે, શિવસેનાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને પાર્ટીનો અવાજ દબાવવા માટે જાણી જોઈને આ પગલું લેવામાં આવ્યું છે.


સંજય રાઉતે પત્રમાં લખ્યું છે કે, NDAથી અલગ થયા હોવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી તેમ છતાં બિનજરૂરી રીતે ભરવામાં આવેલા પગલાનું કારણ હું સમજી શકતો નથી. આ ફેંસલાથી ગૃહની ગરિમાને પ્રભાવિત કરી છે. મને પહેલી, બીજી કે ત્રીજી હરોળમાં સીટ ફાળવવામાં આવે અને ગૃહની ગરિમા જાળવી રાખવામાં આવે તેવી હું અરજી કરું છું.


સંજય રાઉતે મંગળવારે કહ્યું હતું કે, સરકાર બનાવવામાં સમય લાગે છે. સામાન્ય પ્રક્રિયા દરમિયાન આવું નથી થતું પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં તમારે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા.