નવી દિલ્હી: જો તમારી પાસે કોર્મશિયલ વાહન છે અને અત્યાર સુધી તમે તેનું ફિટનેસ સર્ટીફિકેટ નથી લીધુ તો લોકડાઉનમાં તમારા માટે રાહતના સમાચાર છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ફરી એકવાર દેશના વાહનચાલકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી સંબંધિત દસ્તાવેજોની માન્યતા 31 જુલાઈ સુધી વધારી દીધી છે.


નેશનલ અને ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસેન્સની ફી,ફિટનેસ સર્ટીફિકેટ,રજીસ્ટ્રેશન ફી સહિત તમામ કામો માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેમાં લોકોએ ફી તો જમા કરી છે પરંતુ લોકડાઉનના કારણે પ્રક્રિયા પૂર્ણ નથી થઈ રહી. આ સિવાય આરટીઓ જઈ લોકો ફી પણ જમા નથી કરી શકતા.

મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે 1લી ફેબ્રુઆરીથી બાકી રહેલા વાહનોના દસ્તાવેજોના નવીનીકરણની માન્યતા 31 જુલાઇ સુધી લંબાવાશે. એટલે કે આ સમયગાળા દરમિયાન ડ્રાઈવિંગ લાયસન્સ કે વાહન નોંધણી કરાવવાથી કોઈપણ વિલંબ ફી અથવા અન્ય પ્રકારનો દંડ ભરવો પડશે નહીં.

મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ સુવિધા માત્ર તે ડ્રાઇવરોને મળશે જેમણે 1લી ફેબ્રુઆરીએ અથવા ત્યારબાદ તેને લગતા ડોક્યુમેન્ટના નવીનીકરણ માટે ફી જમા કરાવી છે પણ કોરોના વાયરસને કારણે તેઓ દસ્તાવેજનું નવીનીકરણની કામકાજ પુરુ કરાવી શક્યા નથી.

આ પહેલા લોકડાઉનના કારણે પરિવહન મંત્રાલયે 30 માર્ચ જાહેર કરેલા આદેશમાં કહ્યું હતું કે જો કોઈનું લાઈસન્સ અથવા અન્ય કોઈ દસ્તાવેજ 1 ફેબ્રુઆરી અથવા તે પછી રિન્યૂ કરવાનું હતું તો તે 30 જૂન સુધી માન્ય ગણાશે. યૂઝર આ સુવિધા અનુસાર આ દરમિયાન ગમે ત્યારે તેને રિન્યૂ કરાવી શકે છે.