Modi Government Fual Price : ભારતવાસીઓને મોદી સરકાર મોટી રાહત આપી શકે છે. સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ખુદ આ બાબતને લઈને સંકેત આપ્યા છે. જોકે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થનારો આ સંભવિત ઘટાડો જો અને તો ની સ્થિતિ પર આધારીત હશે. 


પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે કહ્યું હતું કે, તેલ કંપનીઓના આગામી ત્રિમાસિક પરિણામો સારા રહેશે. અહીં બીજેપી હેડક્વાર્ટર ખાતે પેટ્રોલના ભાવ અંગેના વિવિધ પ્રશ્નોના જવાબ આપતા પુરીએ જો કે કહ્યું કે, તેઓ આ મુદ્દે કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું કે આગળ જઈને જોઈશું કે શું કરી શકાય.


તેમણે કહ્યું હતું કે, રાજ્ય સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા ક્વાર્ટરમાં ઠીક ઠાક પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેટલાક નુકસાનની ભરપાઈ કરી છે. તેણે પોતાની કોર્પોરેટ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. જેમ જેમ આપણે આગળ વધીએ તેમ આપણે જોઈશું કે શું કરી શકાય છે. સાથે જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહેશે તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા અંગે વિચારણા કરવાની સ્થિતિમાં રહેશે.  


તેલના ભાવ સ્થિર રાખવા પર ભાર


બીજેપી નેતાએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે સુનિશ્ચિત કર્યું છે કે, 22 એપ્રિલથી તેલની કિંમતોમાં કોઈ વધારો ન થાય. તેમણે કહ્યું હતું કે, સરકાર વધુ સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. વિપક્ષો પર 'રેવડીની રાજનીતિ' રમવાનો આરોપ લગાવતા પુરીએ કહ્યું હતું કે, બધા જ બધુ 'મફત'માં જ આપવાના પ્રલોભનો આપે છે, પરંતુ મફતનું રાજકારણ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશ કરી જાય છે.


ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ


પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે, આપણે આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે. દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર, પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર કોલકાતામાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર છે.